অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કસુરી મેથીની ખેતી પધ્ધતિ તથા મૂલ્યવર્ધન

કસુરી મેથીની ખેતી પધ્ધતિ તથા મૂલ્યવર્ધન

મેથીનું ઉદ્‌ગમ સ્થાન દક્ષિણ યુરોપ, ભૂમધ્ય સમુદ્રના કિનારાનો વિસ્તાર, દક્ષિણ એશિયા અન ેભારત માનવામાં આવે છે. કાશ્મીર, પંજાબ અને ગંગાના ઉચ્ચ પ્રદેશોમાં જંગલી મેથી થાય છે. વાણિજિયક દ્રષ્ટિએ મેથીએ ખૂબ અગત્યનો પાક છે. કારણકે શિયાળા દરમ્યાન દેશના તમામ ભાગોમાં બીજ, લીલી મેથી અને તાજા પાંદડાના હેતુસર વવાય છે. તે ખૂબ ઝડપથી ઉગતો પાક હોવાથી ર થી ૩ વખત લીલી ભાજીની કાપણી લઈ શકાય છે. ટ્રીગોનેલા પ્રજાતિમાં બે જાતિઓ જેવી કે ફોઈનમ ગ્રેસીયમ (સામાન્ય મેથી) અને કોર્નીકયુલેટા (કસુરીમેથી) આવેલી છે.સામાન્ય મેથી દેશના તમામ ભાગોમાં વવાય છે. જયારે કસુરીમેથી ઉત્તરના ઠંડા પ્રદેશમાં તેમજ રાજસ્થાનમાં વવાય છે. ગુજરાત રાજયમાં પણ વાવેતર માટે હવે શરૂઆત થયેલ છે. કસુરીમેથીના સૂકા પાનનું પેકીંગ કરીને બજારમાં વેચાણ કરવામાં આવે છે.
ભારતમાં મેથીનું વધારે ઉત્પાદન મુખ્યત્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં થાય છે. ગુજરાત રાજયમાં સને ર૦૧૪–૧પ માં દાણાના હેતુસર ૯રપ૮ હેકટર વિસ્તારમાથીં ૬૪ર૯ મે. ટન ઉત્પાદન થયેલ. મેથીની આપણા રાજયની સરેરાશ ઉત્પાદકતા ૬૯૪ કિ.ગ્રા./હે. છે. ગુજરાત રાજયમાં લીલી મેથી તેમજ સૂકવણી કરેલ મેથીનું ચલણ દિન પ્રતિદિન વધતું જાય છે. જેની જરૂરિયાત ધ્યાને જોતાં સંશોધનના પગલાં હાથ ધરવા જરૂરી છે.

ઉપયોગો :

આ બહુહેતુક પાકનો દરેક ભાગ ઉપયોગી હોવાથી અન્ય ફોર્મમાં ખોરાક, ઘાસચારો, દવા અને કોસ્મેટીકમાં વપરાય છે. તેના લીલા, તાજા પાંદડાઓ અને તેની મૃદુ અપરીપકવ શીંગો લીલા રાંધેલા શાકભાજીમાં વપરાય છે.સૂર્યથી સૂકાયેલ પાંદડાઓ સુગંધ ધરાવતી ગુણવત્તાવાળા હોય છે. જેનો બિનૠતુમાં સ્વાદિષ્ટ ખોરાક બનાવવા મસાલા તરીકે વપરાય છે. રસોઈયાઓ રસોઈની સોડમ અને સુગંધ જાળવવા માટે મોટા રસોડાઓ માં  મેથીના સૂકાં પાંદડાંઓ ખાસ મંગાવતા હોય છે.

સુવાસ ફેલાવનારુ હોવાથી, સુકાં બીજ અને તેનો પાવડર મસાલા/ખુશ્બોદાર ઘટક તરીકે અને દવાના હેતુંસર થાય છે. દાણા ડાઈ અને સ્ટીરોઈડ કે આલ્કલોઈડના અર્ક તરીકે વપરાય છે.કેટલીક ચોકકસ જગ્યાએ લીલા અથવા સુકો ચારો દૂધવર્ધક હોવાથી ઢોરને ખવડાવવાથી દૂધ વધે છે.તે સીરપ અથાણાંઓ, આથાવાળો ખોરાક,મસાલા માટે ચ્યુઈંગમ અને રાંધેલા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે વાણિજયક ઘોરણે વપરાય છે. મેથીના પાંદડા અને બીજનો ઉપયોગ કોસ્મેટીકમાં અને વાળ રંગવામાં થાય છે.પંજાબમાં સૂકા છોડનો ઉપયોગ અનાજ સંગ્રહવામાં કિટક રીપેલન્ટ તરીકે વપરાય છે.

વૈદકીય ઉપયોગો :

મસાલામાંનો  મેથી પાકમાં તેના નીચા ગ્લાયસેમીક અને નીચા કોલેસ્ટોરોલ બંધારણના કારણે વૈદકીય હેતુસર વ્યાપકપણે ઉપયોગ થાય છે. તેના બીજ વાતહર ટોનીક અને જાતિય શકિતવર્ધક છે. અને પેટમાં ચૂંક આવવી, આમવાયુ, મરડો,ઝાડા, ઉબકા સાથે ભૂખ ન લાગવી, જુનો  કફ, જલોદર, લીવરનું મોટું થવું, ઢીંચણનો સોજો, સૂકતાન, સંધિવા અને ડાયાબીટીસ જેવા રોગોમાં  અને શરીરની અને શ્વાસની ખરાબ વાસ દૂર કરવા વપરાય છે. નિયમિત સેવન કરનારને ગ્લુકોઝનું પ્રમાણ, કુલ કોલેસ્ટ્રેરોલ અને ગ્લીસરાઈડીઝનો ઘટાડો થાય છે. મેથી દૂધ વધારવાના ગુણવાળી હોવાથી ભારતીય સ્ત્રીઓ તેમના ધાવણની શકિત વધારવા માટે વાપરે છે. ભારતીય સ્ત્રીઓ ધાવણ વધારવા માટે મેથીનો ઉપયોગ કરે છે. મેથી બીજનાં ડાયોસ્જેનીન (૦.૪૦–૧.ર૬ %) હોવાથી જાતીય અંતસ્ત્રાવને ઉત્તેજન તરીકે બનાવવાના શરૂઆતના પદાર્થમાં અને ગર્ભ અવરોધક તરીકે વપરાય છે. મેથી વાળની કોદરી દૂર કરવામાં અને ટાલીયાપણું દૂર કરવામાં મદદરૂપ છે. મેથીનો પાવડર કપાસના બીજ સાથે ગાયો અને ભેંસોને ખવડાવવાથી દૂધની ધારા વધે છે. ઢોરના ખોરાકમાં અને પશુપાલનની દવાઓમાં વપરાય છે.

મેથી પકવતા મુખ્યત્વે જિલ્લાઓ :

મહેસાણા તેમજ બનાસકાંઠામાં અને રાજસ્થાનમાં નાગોર જિલ્લામાં કસુરીમેથીનું વાવેતર થાય છે.

વાવેતર જાત :

વાવેતર માટે ગુજરાતમાં ભલામણ કરેલ જાત પુસા કસુરીછે.

પુસા કસુરી:

બીજ માટે ન કરતાં ફકત પાનના હેતુસર વાવેતર માટે નાની કસુરીજાતમાંથી પસંદ કરેલ છે. જેનાં પાંદડાં આભૂષણ (રઝેટ) પ્રકારના અને પ–૭ કાપણી લઈ શકાય તેવી મોડી પાકતી જાત છે. વિશિષ્ટ સુગંધ સાથે લીલા પાંદડાનું ઉત્પાદન આપે છે. જે આઈ.એ.આર.આઈ., નવી દિલ્હીથી વિકસાવેલ છે. જેના દાણાનું સરેરાશ ઉત્પાદન  પ–૭ કિવ./હે અને લીલા પાંદડાનું ૮૦ કિવ./હે. સાથે સારી રીતે ઉગાડી શકાય છે.

સંશોધનના પરિણામો :

ગુજરાત ખાતે કસુરીમેથીની કોઈ જાત ન હોવાથી લીલા પાન મેળવવા માટે અને વધુ કટીંગ આપતી જાતોના અખતરાઓ જગુદણ કેન્દ્ર ખાતે લેવામાં આવેલ છે. જેમાં વધુ ઉત્પાદન અને વધુ કટીંગ આપતી આશાસ્પદ જાત જણાય છે. કસુરીમેથીના લીલી મેથીનું ઉત્પાદન ૧૦ થી રપ મે.ટન/હે. બે કટીંગથી મેળવી શકાય છે. જેના છોડની કાપણી ઉંચાઈ ર૦ થી ૩૦ સે.મી. થયે કરવામાં આવે છે. જેમાં  પ્રાથમિક ડાળીઓની સંખ્યા પ થી ૭ જોવા મળે છે. પ્રથમ અને દ્રિતીય કટીંગ અનુક્રમે ર૦ થી ૩૦ અને ૪પ થી ૬૦ દિવસે મેળવી શકાય છે. જમીન, વાતાવરણ અને બજારને ધ્યાને લઈ પ થી ૬ કટીંગ લઈ શકાય છે. કસુરીમેથીનું બીજ ઉત્પાદન ૧પ૦–૧૬૦ દિવસમાં લઈ શકાય છે. સંશોધન પુરું થયે ખેડૂતોને કસુરીમેથીની સારી જાતનું બિયારણ ભવિષ્યમાં પુરૂ પાડવામાં આવશે.

આબોહવા :

મેથીના સારા વિકાસ માટે વધુ ઉષ્ણતામાન સિવાયની ઠંડી ૠતુ અનુકુળ છે. વાવેતર ઉષ્ણકટિબંધ તેમજ શીત કટિબંધ એમ બંને પ્રદેશોમાં સમુદ્રથી ર૦૦૦ મીટર ઉંચાઈ સુધી લઈ શકાય છે. ભારતમાં મેથી મુખ્યત્વે શિયાળુ ૠતુમાં લેવાય છે. પરંતુ દક્ષિણ ભારતમાં ચોમાસુ ૠતુમાં થાય છે. ઓછાથી મધ્યમ વરસાદમાં સારી રીતે લઈ શકાય છે. પરંતુ ભારે વરસાદમાં ટકી શકતી નથી. સતત ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ કીટક–જીવાતોને અને ઘણા રોગોને આમંત્રે છે.

જમીન :

મેથી સારા નિતારવાળી લગભગ તમામ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. પરંતુ સારા નિતારવાળી જમીનમાં ખૂબ જ સારી થાય છે. યોગ્ય નિતાર ધરાવતી, સેન્દ્રીય ખાતર ધરાવતી કાળી કાંપવાળી જમીનનો ઉપયોગ પણ કરી શકાય છે. તેમ છતાંય રેતાળ અને પથરાળ જમીનમાં સારી રીતે લઈ શકાતી નથી. બિનપિયત વાવેતર માટે કપાસની કાળી જમીન ખૂબ સારી અને સફળ વાવેતર માટે યોગ્ય છે. તેમ છતાંય આ પાક ૮.૪ અમ્લતાઆંક (પીએચ) સુધી ક્ષારીયત  સહન કરી શકે છે. પરંતું તટસ્થ જમીન કે જેનો અમ્લતા આંક (પીએચ) ૬.૦૦ થી ૭.૦૦ સુધીનો છે તેમાં હંમેશાં વધારે ઉત્પાદનની સાથે સારી ગુણવત્તા ધરાવતાં પાન મળે છે. આ પાક ક્ષાર સહન કરી શકે છે. પરંતુ વધુ ક્ષારીય, અમ્લીય તેમજ આલ્કલીય જમીનનો ઉપયોગ કરવો નહિ.

પાક પધ્ધતિ :

જાતની  પસંદગી, પ્રાથમિક રીતે તેની જમીન અને આબોહવાકીય પરિસ્થિતિ ઉપર અનુકુલન ધરાવે છે. અને જે તે વિસ્તારમાં રોગો અને જીવાતો સામે પ્રતિકારકતા /સહન કરી શકે છે.

જમીનની તૈયારી : મેથીના સારા ઉગાવા અને વિકાસ માટે  જમીનની સારી તૈયારી કરવી જોઈએ. કુલ ૩–૪  ખેડની જરૂરિયાત છે. પ્રથમ ખેડથી જમીનની ઉલટ સુલટ કરી પછી કરબની ર–૩ ખેડ કરી જમીનને ભરભરી બનાવવી. વાવણી સમયે બીજના સારા ઉગાવા માટે જમીનમાં સારો ભેજ હોવો જરૂરી છે.

વાવેતર સમય :

મેથી ઠંડી ૠતુનો પાક હોવાથી ઉત્તરના મેદાનોમાં વાવેતર ઓકટોબરથી નવેમ્બર મહિના દરમ્યાન જયારે પર્વતાળ પ્રદેશોમાંં માર્ચ થી મે દરમ્યાન તેની ઉંચાઈના આધારે વાવણી કરવી જોઈએ. મધ્યમ આબોહવા વિસ્તારમાં મેથી ઉનાળાના ગરમ અને વરસાદી ૠતુના મહિનાઓ સિવાય આખા વર્ષ દરમ્યાન તાજી, લીલી મેથી માટે વાવેતર થાય છે. દક્ષિણ ભારતના રાજયોમાં ખાસ કરીને કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં બે વખત વાવેતર થાય છે. એક રબિમાં (સપ્ટેમ્બર–ડીસેમ્બર) અને ફરીથી ખરીફમાં (જુન–જુલાઈ) થાય છે.  કસુરીમેથી માટે વધારે ઠંડુ વાતાવરણ  જરૂરી છે. જેથી દક્ષિણ ભારતના રાજયો કરતાં  ઉત્તરના રાજયોમાં વધારે સફળતાપૂર્વક  લઈ શકાય છે. વધારે ઉત્પાદન માટે મેથીનો વાવણી સમય યોગ્ય રીતે જાળવવાથી છોડનો વિકાસ સારો અને કાપણી  અવસ્થાએ સૂકું અને વરસાદમુકત વાતાવરણ મળે છે.

વાવેતરનો ભલામણ કરેલ સમય : ઓકટોબરથી નવેમ્બરનું પ્રથમ અઠવાડિયું

બિયારણનો દર :

કસુરીમેથી માટે ૧૦–૧ર કિ.ગ્રા./હે. બિયારણની જરૂરિયાત રહે છે. ઝડપી અને સારા ઉગાવા માટે બીજ ૩ થી ૪ કલાક પાણીમાં પલાળી રાખવા.

બીજ માવજત :

કસુરીમેથીએ કઠોળ વર્ગનો પાક છે. તે હવામાંનો નાઈટ્રોજન દર વર્ષે ર૮૩ કિ.ગ્રા.પ્રતિ હે. વર્ષે જમીનમાં સ્થિર કરે છે. મેથીના ઉત્પાદનમાં રાયઝોબિયમનો ફાળો ખૂબ સારો પ્રસ્થાપિત થયેલ છે. જેથી વાવેતર પહેલાં રાયઝોબિયમના જીવાણુનો પટ આપવાથી વધારે ફાયદાકારક ઉત્પાદન સાબિત થયેલ છે. જયારે આ પાક નવા ખેતરમાં ઉગાડવાનો હોય ત્યારે રાયઝોબિયમ મેલીલોટીના સ્થાનિક કલ્ચરની માવજત બિયારણ ઉપર આપવી જોઈએ. રાયઝોકટોનીયા મેલીલોટી કલ્ચરની પણ બિયારણ માવજતની ભલામણ છે. શરૂઆતના ફૂગકારક રોગોના નિયંત્રણ માટે બિયારણને  બાવિસ્ટીન અથવા થાયરમ ર.૦ ગ્રા./કિ.ગ્રા. બિયારણની માવજત આપવી જોઈએ.

વાવેતર પધ્ધતિ :

મેથીનું વાવેતર હારમાં અથવા બીજને સારા સમતલ કયારાઓમાં પૂંખીને કરી શકાય છે. અને સમારથી કયારા સમતલ પૂંખીને વાવેતર કરતાં, હારમાં વાવેતર કરવું વધુ સુવિધાભર્યુ છે. કારણકે તેમાં આતંરખેડ, નિંદામણ જેવા કાર્યો થઈ શકે છે. વાવેતર ર૦–રપ સે.મી. અંતર રાખી કરવું. અને હારમાં છોડ વચ્ચે પ–૭ સે.મી. અંતર રાખી પારવણી કરવી. વાવેતર પછી પ–૭ દિવસમાં બિયારણ ઉગી નીકળે છે. વાવેતર વખતે ખેતરમાં પૂરતો ભેજ હોવો જોઈએ. તેમ છતાં વાવેતર વખતે બિયારણની ઉંડાઈ જમીનમાં ભેજ અને જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે કસુરીમેથીનું વાવતેર બીજ ૧.૦ થી ૧.પ સે.મી. ઉંડાઈએ કરવું જોઈએ.

ખાતર વ્યવસ્થાપન :

મેથી પાક મુખ્ય તેમજ ગૌણ તત્વોના શોષણ માટે ખૂબ પ્રત્યુત્તર આપતો જણાયેલ છે. આ પાક જમીનમાંથી ૧૦, ૩.પ, ૮.ર કિ.ગ્રા. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું ખેંચાણ કરી રઃ૧ઃ૧ ના : ફો : પો  ના અનુક્રમે જમીનમાં છોડે છે. મેથીના વાનસ્પતિક વિકાસના ફાયદા માટે ૧૦ ટન/હે. સારુ કહોવાયેલુ ખાતર આપવાથી સુકા પદાર્થનું વધુ ઉત્પાદન આપી પાક ઉત્પાદકતા સ્થિર કરે છે. હેકટર દીઠ એક ટન લીમડાનો ખોળ આપવાથી ફાયદાકારક પૂરવાર થયેલ છે. સેન્દ્રિય મેથીના વાવેતર માટે એઝોસ્પિરીલમ, એઝોટોબેકટર અને રાયઝોબિયમ સૂક્ષ્મ જીવાણુંઓ યોગ્ય પૂરવાર થયેલ છે.

મેથીમાં ભલામણ કરેલ ખાતરનો હપ્તો : ર૦–૪૦ –૧૦  ના. ફો.ગંધક કિ.ગ્રા. /હે. (પાયામાં ), ર૦ : ૦ ૦ :૦૦ પૂર્તિ ખાતર પ્રત્યેક કાપણી પછી.

પિયત :

મેથી પ્રાથમિક રીતે પિયત પાક હોવાથી તેના ઝડપી વિકાસ માટે અવારનવાર ગાળે હળવા પિયત આપવા જરૂરી છે. પરંતુ રાજયના કેટલાક ભાગોમાં બિનપિયત પરિસ્થિતિમાં વાવેતર કરી શકાય છે. સામાન્ય રીતે ખેતરમાં જયારે પૂરતો ભેજ હોય ત્યારે વાવણી કરાય છે. જેથી છોડ શરૂઆતના ૪–પ પ્રથમ પાનનો ન થાય ત્યાં સુધી પિયત અપાતું નથી. છતાંય જો વાવણી સમયે શરૂઆતમાં જમીનમાં પૂરતો ભેજ ન હોય તો વાવણી પછી તુરત જ હલકુ પિયત આપવું જોઈએ. ઝડપી અને એકી સાથે ઉગાવા માટે ત્રીજા દિવસે હલકું પિયત આપવું. ત્યાર પછીના પિયત ૧ર થી ૧પ દિવસના ગાળે અને પછી બીજા જમીનના પ્રકાર, ૠતુ, વરસાદ અને તાત્કાલિક હવામાન પરિસ્થિતિ આધારે આપવું. સામાન્ય રીતે છોડના ઝડપી વાનસ્પતિક વિકાસ માટે વારંવાર હળવા પિયત આપવાં જરૂરી છે. અને દરેક કાપણી પછી હળવુ પિયત આપવું ફરજીયાત છે. વધુ પડતા પિયત આપવાથી મૂળનો કહોવારો અને છારાનો રોગ આવે છે. પાનના વિકાસ તબકકે પાણીની ખેંચ થાય નહિ તેની કાળજી લેવી જોઈએ. સામાન્ય રીતે હલકી જમીનમાં ૬–૭ પિયત અને ભારે જમીનમાં ૪–પ પિયત આપવા જરૂરી છે.

આંતરખેડ કાર્યો :

કસુરીમેથી કઠોળ વર્ગના પાકનો હોવાથી  સામાન્ય મૂળના વિકાસ માટે હવાની અવરજવર ખૂબ જ જરૂરી છે. જેથી નિંદામણ અને આંતરખેડ છોડના શરૂઆતના વૃધ્ધિના તબકકાએ કરવી ખૂબ જ જરૂરી છે. નિંદણ પાક સાથે પોષક તત્વો, પાણી તેમજ જગ્યા માટે હરિફાઈ કરી છોડની વૃધ્ધિ અને ઉત્પાદન ઉપર ખૂબ જ વિપરીત અસર કરે છે.ખેતરને નિંદણ મુકત રાખવા શેઢા,પાળા અને ઢાળિયા સાફ રાખવા. નિંદણનો બીજ બેસતાં પહેલાં નાશ કરવો.નિંદણમુકત બીજનું વાવેતર કરવું.આંતરખેડ તેમજ હાથ નિંદામણ કરવું.આમ છતાં નિંદામણનું પ્રમાણ વધારે રહેતું હોય તો  કસુરીમેથી પાકમાં પેન્ડીમિથેલીન (૦.૬૦૦ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેકટર ) વાવણી બાદ પાકના ઉગાવા પહેલાં પ૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

પાક સંરક્ષણ :

શાકભાજી હેતુસરના પાકમાં સામાન્ય રીતે જીવાતો અને રોગોના પ્રશ્નો ખુબજઓછા થાય છે. તેમ છતાં  જીવાતો પૈકી મોલો અને પાન ખાનાર ઈયળ કયારેક નુકસાન કરતા હોય છે.

કાપણી અને ઉત્પાદન :

સામાન્ય રીતે કસુરીમેથીની લીલા, તાજા પાંદડાની, નાના છોડની કાપણી વાવેતર  પછીના રપ–૩પ દિવસે રાખવામાં આવે છે. અને ૧પ–ર૦ દિવસના ગાળે કાપણી લઈ શકાય છે. એક કાપણી પછી પણ તેના ઉત્પાદન ઉપર અસર થતી નથી અને કાપણી છોડને ઉપાડીને જમીનની સપાટીથી એક ઈંચ જેટલી ઉંચાઈથી કાપવાથી નવી ફૂટ ઝડપથી આવે છે. કાપણી હંમેશાં તીક્ષ્ણ છરી /ધારદાર ચપ્પુથી જમીનથી ૩–૪ કાપણી કરવામાં આવે છે. સામાન્ય રીતે મેથીના પુખ્ત છોડને સપાટીએથી પકડીને જોરથી કાપવા અને કપાયેલ છોડ આગળ ઉગવા માટે અને ફુલ આવ્યે ત્યાં સુધી ટોચને એકાંતરે કાપી નાંખવી. જો મેથીને મોડી કાપવામાં આવે તો તેના પાંદડાના સ્વાદમાં કડવાશ વધે છે.

સામાન્ય રીતે  બિયારણ તેમજ તાજા લીલા પાંદડાના હેતુસર કરવામાં આવેલ વાવણી કસુરીમેથી ૮૦–૧૦૦ કિવ./હે. લીલા પાંદડાં આપે  છે. તેમ છતાંય વધુ ઉત્પાદન સારી વ્યવસ્થાપન પધ્ધતિઓ ઉપર આધાર રાખે  છે. કસુરી પ્રકારની મેથી સામાન્ય પ્રકારની મેથી કરતાં વધુ કાપણી લેતાં વધુ ઉત્પાદન મળે છે.

કસુરીમેથીનું પ્રોસેસીંગ અને મૂલ્યવર્ધન :

શાકભાજીના લીલા પાંદડાં અને સૂકાયેલ પાન સાંપ્રત બજારની જરૂરીયાતને ધ્યાને લઈ કાપણી પછીનું  યોગ્ય પ્રોસેસીંગ કાર્ય કરવું જરૂરી છે. તાજા છોડના કેસમાં ખાદ્ય ભાગ પાંદડાં અને થડ કોમળ હોવા જોઈએ. કાપણી પછી પીળા/રોગિષ્ઠ અને નુકશાનવાળા પાંદડાઓ કાપીને સરખા કરવા અને રોગમુકત પાંદડાં બજારમાં હેરફેરમાં  અનુકૂળ રહે તેવી નાની ઝૂડીઓ બનાવવી. જો કે સૂકાં પાંદડાં બિન ૠતુમાં ઉપયોગ સારુ એક વર્ષ સુધી સંગ્રહી શકાય છે. મેથીના પાંદડાં સૂર્યપ્રકાશમાં અથવા ભેજમુકત કરવાના સાધનથી યોગ્ય ભેજ રાખી સૂકાં કરવાં. છતાંય ભેજમુકિત દરમ્યાન કલોરોફિલ પ્રક્રિયા થાય છે અને એસ્કોરબિક એસીડ ઉડી જાય છે. જેથી મેથીના પાંદડાંનો લીલો રંગ જળવાઈ રહે છે. ૮૦૦ સે. ગ્રે. ઉકળતા પાણીએ ૩–૬ મિનિટ પાણીમાં રાખી રંગવિહિન કરવાની પ્રક્રિયા કરવી. મેથીના પાંદડાંની સ્વાદિષ્ટતા અને પરીપકવતામાં વધારો કરવા ઉકળતા પાણીમાં નાખવાથી કે શેકવા કરતાં વરાળથી વધુ સારી થાય છે.

લીલી મેથીમાં  ભેજનું પ્રમાણ ૭૦–૯૦ ટકા જેટલું વધુ હોય છે. વધુ પડતા ભેજને કારણે શાકભાજી સામાન્ય વાતાવરણમાં જલદી બગડી જાય છે એટલે જો આ ભેજ કૃત્રિમ રીતે દુર કરવામાં આવે તો તેને બગડતા અટકાવી શકાય છે. આ માટે આપણા દેશમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ સૂર્ય શકિતથી થતી સુકવણી ખૂબ સારી અને સસ્તી પડે છે. સુકવણી બાદ લીલી મેથીમાં  ગુણવત્તા જળવાઈ રહે અને સંગ્રહ શકિત વધે તે માટે સુકવણી દરમયાન અમુક ખાસ પ્રક્રિયા કરવી પડે છે. હાલમાં લગભગ દરેક પ્રકારનાં શાકભાજીની સુકવણી થાય છે. આવા સુકવેલ શાકભાજીની વિદેશોમાં સારી માંગ હોવાથી યાંત્રિક રીતે પણ સુકવણી થાય છે. સુકવણી કરેલ શાકભાજીને કે લીલી મેથી તેજ સ્વરૂપમાં એટલે કે કટકા અથવા તો ગોળ તકતીમાં કે તેનો પાવડર કે સૂકાં પાંદડાં બનાવી હવાચુસ્ત પેકીંગ કરવામાં આવે છે જે ૬ થી ૮ મહિના સુધી સાચવી શકાય છે. વાપરતા સમયે હુંફાળા પાણીમાં નાખતા, થોડા સમય બાદ મૂળભૂત પરિસ્થિતિ જેવા આકાર અને માપમાં આવતા તેને સલાડ, ભાજી તરીકે વાપરી શકાય છે.

જો સૂર્યના તડકામાં સુકવણી કરવાની હોય તો લાકડાની ટે્રમાં લીલી ભાજીનેે એક જ થરમાં પાથરી સુકવણી કરવી જોઈએ. જેથી દરેક છોડને પુરતા પ્રમાણમાં ગરમી મળી રહે અને ઓછા સમયમાં સૂકાય. સૂર્યના તડકામાં થતી સૂકવણી વધારે સમય લેતી હોવાથી સૂકવણી દરમ્યાન ફૂગ કે જીવાત ન લાગે તેનું ધ્યાન રાખવું. સૂર્ય શકિત વડે સૂકવણી દરમ્યાન એકસરખી ગરમી ન લાગવાથી સુકવણી સમય વધારે થતો હોવાથી અને અંતિમ ભેજ યોગ્ય પ્રમાણમાંં નીચો જતો ન હોવાથી તેની ગુણવત્તામાં અને સંગ્રહ શકિત નબળી રહે છે.

યાંત્રિક પધ્ધતિમાં ગરમ કરેલ હવા દ્વારા સૂકવણી થાય છે. આ પધ્ધતિમાં કન્વેયર બેલટ કે ટે્ર– ટાઈપના ડ્રાયરોનો ઉપયોગ થાય છે. યાંત્રિક પધ્ધતિમાં ચોકકસ ઉષ્ણતામાને, ઓછા સમયમાં એક સરખી સૂકવણી થાય છે તથા છેવટનું ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહેતું હોવાથી તેની ગુણવત્તા અને સંગ્રહ શકિત સારી હોય છે. વળી, યાંત્રિક પધ્ધતિમાં છેવટનો ૬ થી ૮ ટકા ભેજ સામાન્ય દબાણયુકત હવાથી દૂર કરાતો હોવાથી ટુકડાનું કદમાં સંકોચન ઓછું થાય છે અને રંગમાં પણ ફિકાશ આવતી નથી. યાંત્રિક રીતે કરવામાં આવતી સૂકવણી એક અથવા વિવિધ તબકકાઓમાં કરવામાં આવે છે. એક જ તબકકામાં કરવામાં આવતી સૂકવણી સામાન્ય રીતે એક જ ઉષ્ણતામાન પ૦– ૩૦૦ સે. ગ્રે. થાય છે. જયારે વિવિધ તબકકાઓમાં થતી સૂકવણી જુદા જુદા ઉષ્ણતામાને ૯૦ થી ૬૦૦ સે. ગ્રે. થાય છે.

લીલી મેથીને સામાન્ય રીતે ૪ થી ૬ ટકા ભેજ રાખીને સૂકવવામાં આવે છે. સુકવણી કરેલ મેથીની ગુણવત્તા અને સંગ્રહશકિત તેને આપવામાં આવેલ ગરમી, સમય અને પધ્ધતિ તેમજ ભેજના પ્રમાણ ઉપર આધાર રાખે છે. સૂકવેલ પાંદડાંની ગુણવત્તા નકકી કરવા માટે, હુંફાળા પાણીમાં નાખતાં તેમાં સંકોચન, ભેજનું પ્રમાણ, સુગંધ, રંગ તેના વજનના અને કદના આધારે નકકી કરવામાં આવે છે.

સૂકવણી બાદ મળતાં પદાર્થનું વજન કે જેને ડ્રાય રીકવરી કહેવાય છે. ડીહાઈડ્રેશન પણ સુકવણીનો એક પ્રકાર જ છે. જેમાં પેદાશમાં રહેલ મોટા ભાગના પાણીને સુકવી દેવામાં આવે છે.

 

ર્ડા. ડી. બી. પ્રજાપતિ, શિવાંગીની એ.ગુપ્તા, ર્ડા.બી.જી.પ્રજાપતિ અને અને ર્ડા.એ.યુ. અમીન,બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ. જગુદણ–૩૮ર૭૧૦

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate