অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટપક પિયત પદ્ધતિની જાળવણી

ટપક પિયત પદ્ધતિની જાળવણી

  1. એમિટર / લેટરલ / પાઈપલાઈનમાં વિક્ષેપ ઊભો થવાનાં કારણો :
    1. રજકણો :
    2. રજકણોનો એમિટર આઉટલેટ તરફ પ્રવેશ :
    3. જીવજંતુઓ,ઉંદરો અને ખિસકોલીઓ :
    4. શેવાળની વૃદ્ધિ :
    5. મૂળમાં વિક્ષેપ થવો :
    6. જીવાણુંઓનો વિકાસ :
    7. રાસાયણિક ક્ષારોનું જામવું :
  2. હાઈડ્રોસાઈયક્લોન ફિલ્ટર વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
    1. રેતી ( સેન્ડ ) ફિલ્ટર વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :
    2. સ્કીન ફિલ્ટર :
  3. સામન્ય જાણવણી અંગે ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો :
    1. ખિસકોલીઓ માટે :
    2. ઉંદર માટે :
  4. એમિટિંગ પાઈપ / લેટરલ વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની મુખ્ય મુદ્દાઓ :
  5. જે ટર્બોલાઈન / જે-ટર્બો એક્યુરાની જાળવણી માટેનું આયોજન
  6. ફર્ટિગેશન:
    1. પિયતની સાથે ખાતર આપતાં પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો :
    2. ખાતર આપવની પ્રકિયા દરમ્યાન ધ્યાનમાં રાખવાની બાબતો :
    3. ખાતર આપતી વખતે આટલું ન કરો :
  7. સિસ્ટમની જાળવણી : સીસ્ટમની જાળવણી ચાર તબક્કામાં વહેંચાયેલી છે.
    1. રોજની અથવા ટુંકા ગાળાની જાળવણી :
    2. સમયાંતરે અથવા પખવાડિયે લેવામાં આવતી જાળવણી :
  8. ડ્રિપર બંધ પડવાની માત્રા માટેનું પ્રાથમીક વર્ગીકરણ અને એસિડ માવજતનો ગાળો
  9. સિસ્ટમને રાસાયણીક સારવાર આપતાં પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :
  10. એસિડથી સારવાર :
    1. એસિડ ટ્રીટમેન્ટ માટે વપરાતાં વેપારી ધોરણનાં એસિડ :
    2. એસિડ સારવારની રીત :
    3. જુદા જુદા ઉપયોગ માટે પાણીમાં છુટા ક્લોરીનની ભલામણો
  11. ક્લોરિનેશન ટ્રીટમેન્ટ :
    1. ક્લોરિનેશન ટ્રીટમેન્ટ દરમ્યાન રાખવાની સાર સંભાળ :
    2. ક્લોરિનના ત્રણ સ્વરૂપો :
    3. ક્લોરિનેશન કરવાના કારણો :
    4. ક્લોરિન દ્ધાવણ બનાવવાની પદ્ધતિ :
    5. ક્લોરિનેશન સારવારની રીત:
    6. એસિડ અને ક્લોરીન ટ્રીટમેન્ટ સમયે લેવાના સલામતીના પગલાઓ :
    7. સબસર ફેસ ઈન્સ્ટોલેશન માટે ટ્રાઈફલોન ટ્રીટમેન્ટની પદ્ધતિ :
    8. કેમિકલ સારવાર પસંદ કરવા માટેનું માર્ગદર્શન :

એમિટર / લેટરલ / પાઈપલાઈનમાં વિક્ષેપ ઊભો થવાનાં કારણો :

રજકણો :

રજકણો સિસ્ટમમાં દાખલ થવાનાં વિવિધ કારણો નીચે દર્શાવેલ છે :

  • અપુરતું ગાળણ (ફિલ્ટરેશન) જેમાં માટીનાં નાના કણો ફિલ્ટરની આરપાર નીકળી જવા અથવા ફિલ્ટર દ્ધારા પસાર થઈ સિસ્ટમમાં ભેગા થવા.
  • સિસ્ટમની ગોઠવણી વખતે રજકણો અંદર પ્રવેશ થવો.
  • મેઈન લાઈનનું સમારકામ કરતી વખતે અથવા મેઈન લાઈનમાં લીકેજને કારણે રજકણોનો પ્રવેશ થવો.
  • લેટરલની ગોઠવણી કરતી સમયે.
  • એમિટરની ગોઠવણી સમયે અથવા તેને બદલતી વખતે.

રજકણોનો એમિટર આઉટલેટ તરફ પ્રવેશ :

એમિટર ટ્યુબિંગના તળીયાના ભાગે હોય, તેથી સિસ્ટમ બંધ કરે ત્યારે એમિટર ઓપનિંગ દ્ધારા ભીની પોચી માટીને અંદર ખેંચી આઉટલેટ બંધ કરી શકે.

જીવજંતુઓ,ઉંદરો અને ખિસકોલીઓ :

  • સિસ્ટમની બંધ અવસ્થામાં ભીનાશ મર્યાદિત માત્રામાં હોય છે તે સમયે જીવજંતુઓ ટ્યુબિંગની પાતળી દિવાલોને ચાવી ખાય છે. જો આવા જીવજંતુઓને કીટનાશક દવાઓ વડે નિયંત્રિત કરવામાં ન આવે તો થોડા સમયમાં સિસ્ટમને બિન કાર્યક્ષમ બનાવે છે.
  • કેટલાક જંતુઓ એમિટર આઉટલેટ અને ટ્યુબિંગમાં તેમનું રહેઠાણ બનાવે છે.
  • કોઈ વાર ઉંદરો કે ખિસકોલીઓ ટ્યુબને ચાવી ખાય છે, ઉંદરો મુખ્યત્વે ભીની સપાટીથી દુર રહે છે. ઉંદરોને દૂર રાખવા માટે માર્કેટમાં રેટ-રીપલન્ટ મળે છે પરંતુ તે પાક માટે હાનિકર્તા નથી તેની ખાતરી કરીને વાપરવા જરૂરી છે.

શેવાળની વૃદ્ધિ :

  • પાણીની ખુલ્લી સપાટી પર, સુર્યપ્રકાશની હાજરથી શેવાળનો વિકાસ થાય છે અને લીલુ આવરણ બનાવે છે. જે સ્ક્રિન અથવા મિડીયા સરફેસ પર ચોટીને સ્ક્રીનિંગ અથવા ગાળણ પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે.
  • શેવાળના વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે ૦.૦૫ થી ૨.૦ પીપીએમ માત્રામાં કોપર સલ્ફેટ પાણીમાં ઉમેરી શકો.

મૂળમાં વિક્ષેપ થવો :

મૂળ મુખ્યત્વે પાણીની શોધમાં લેટરલ / ડ્રિપ લાઈનમાં ફેલાતા હોય છે. જમીનમાં ભેજ યોગ્ય માત્રામાં ન હોય તો પાકના મૂળીયાં એમિટરના પ્રવાહના માર્ગમાં અવરોધ પેદા કરી એમિટરને સદંતર બંધ કરી શકે દે છે.

જીવાણુંઓનો વિકાસ :

  • ખાસ પ્રકારના જીવાણુઓન એમિટર અને ટ્યુબિંગમાં સ્લાઈમ રૂપે જમા થાય છે. જો સિસ્ટમને લાંબા સમય માટે બંધ રાખવામાં આવે તો સુકાય છે. જ્યારે ફરીથી સિસ્ટમને ચાલુ કરવામાં આવે છે ત્યારે આ સુકાયેલ સ્લાઈમ પાણીથી ભીંજાઈને છૂટા પડીને એમિટરમાં અવરોધ પેદા કરે છે.
  • અમુક પ્રકારના જીવાણુંઓ આયર્ન સાથે પ્રકિયા કરી ભૂખરા – લાલ રંગના પદાર્થ રૂપે જમા થઈ એમિટરમાં અવરોધ પેદા કરે છે.
  • ક્લોરીન પાણીમાં ભળીને શક્તિશાળી આકેસીડાઈઝીંગ એજન્ટનાં રૂપમાં કાર્ય કરતુ હોઈ જીવાણુંઓનો વિકાસ પાણીની ક્લોરીનેશન દ્ધારા નિયંત્રિત કરી શકાય છે.
  • ક્લોરીનનાં સામાન્ય સ્ત્રોત તરીકે કેલ્શિયમ હાઈપોક્લોરાટ (બ્લીચિંગ પાઉડર, સોડિયમ હાઈપોક્લોરાઈટ અથવા ક્લોરિન ગેસ) વાપરી શકાય.

રાસાયણિક ક્ષારોનું જામવું :

  • કેલ્શિયમ / મેગ્નેશિયમ ક્ષાર એમિટરનાં આઉટલેટ પર સફેદ કોટિંગ બનાવે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમનાં ક્ષારો માટે ભાગે જ્યાં સાંદ્ધતા ૫૦ પીપીએમની ઉપાર અને ૭.૫ પી.એચ. ની ઉપર હોય ત્યારે જ ઉદ્ભવે છે.
  • પાણીમાં આયર્નની વધૂ ઉપસ્થિતિમાં સ્ટેઈનલેસ સ્ટીલ સ્ક્રીન ફિલ્ટર આયર્ન સલ્ફાઈડનું નિર્માણ કરતા ફિલ્ટર બંધ થઈ જવાની શક્યતાઓ છે. આવ પરિસ્થિતિમાં પ્લાસ્ટિક ફિલ્ટરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
  • જો પાણીમાં આયર્નની માત્રા ૦.૧ માઈક્રોનથી વધારે હોય તો તેવી સ્થિતિ માં આયર્નનાં ક્ષારો ઉદ્ભવે છે જેથી ભૂખરા-લાલ રંગનું ફેરિક ઓક્સાઈડ બને છે,જે સિસ્ટમને બંધ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.

હાઈડ્રોસાઈયક્લોન ફિલ્ટર વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

  • હાઈડ્રોસાયક્લોન ફિલ્ટર ૦.૨ થી ૦.૩ કિ.ગ્રા./સે.મી.2 દબાણથી કાર્ય શરૂ કરે છે. ઈનલેટ અને આઉટલેટના દબાણ તપાસી અને ખાતરી કરવી.
  • હાઈડ્રોસાયક્લોન ફિલ્ટરચાલુ હોય ત્યારે દરેક પાંચ કલાકે તેના કનેકશન ચેમ્બરમાંથી જમા થયેલ રાબડી (રેતી + પાણી) ડ્રેઈન વાલ્વ દ્ધારા બહાર કાઢવી. જો પાણી વધારે પડતું ડહોળું હોય તો ડ્રેઈન વાલ્વમાંથી સતત કાઢતા રહેવું.
  • ફિલ્ટર ચાલુ કરતા પહેલા રેત કનેકશન ચેમ્બરનું ઢાંકણ ખોલીને જે કંઈ રેતી જમા થઈ હોય તેને બરાબર સાફ કરી ઢાંકણ બંધ કરવું.
  • જો કોઈ જગ્યાએ લીકેજ હોય તો તેને દુર કરવું.

રેતી ( સેન્ડ ) ફિલ્ટર વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :

  • સેન્ડ ફિલ્ટરમાં દર્શાવેલ ઊંચાઈ (લેવલ) સુધી રેતી ભરવી.
  • દરેક પાંચ કલાકે બેકફલશ કરવું.
  • જો એક કરતાં વધારે સેન્ડ ફિલ્ટરો લગાવેલ હોય તો દરેક અઢી કલાકે એકવાર એમ વારા-ફરતી બેકફલેશ કરો.
  • સેન્ડ ફિલ્ટરમાં દાખલ થતાં પાઈપ ઉપરનું દબાણ તપાસવું. જ્યારે દબાણ ૦.૫ કિ.ગ્રામ / સે.મી 2 થી વધે ત્યારે અવશ્ય બેક ફલશ કરવું.

સ્કીન ફિલ્ટર :

ઝીણા કણો અને કચરો જે સેન્ડ ફિલ્ટરમાંથી પસાર થઈ ગયો હોય તે સ્કીન ફિલ્ટરના તાંતણામાં પકડાય છે જે ફિલ્ટરની કામગીરીમાં અસર કરે છે. આ માટે સ્કીન ફિલ્ટરનું ઢાંકણ ખોલી ફિલ્ટરીંગ એલીમેન્ટને બહાર કાઢી એલીમેન્ટના બંને છેડા ઉપરના રબરના સીલ દૂર કરવા. તેઓને ઉંધા કરી પાણી વડે સાફ કરવા  અને ફરીથી ચુસ્તપણે એલીમેન્ટ ઉપર ફિક્સ કરવા. વહેતા પાણીમાં એલીમેન્ટને હળવેથી હાથ વડે કરવા, વાયર બ્રશનો ઉપયોગ કરવો નહીં કારણ કે તે કદાચ સ્કીનને નુક્શાન કરી શકે છે.

સામન્ય જાણવણી અંગે ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો :

  1. પંપને ચાલુ કરતાં પહેલા બાયપાસ વાલ્વને ખુલ્લો રાખો અને તેને ધીમે થી જરૂરી દબાણ એડજસ્ટ કરવા માટે એડજેસ્ટ બંધ કરો.
  2. જરૂરીયાત પ્રમાણેનો પંપ ગોઠવવો.
  3. ફિલ્ટરેશન યુનિટ અને સબ-મેઈન પાસે ચલાવવા માટેનું જરૂરી દબાણ જાળવો.
  4. ઓછું કે વધારે પિયત ન આપો. હંમેશા માફકસરના ભેજની સ્થિતિ ખેતરમાં જાળવો.
  5. જ્યારે સિસ્ટમ ચાલુ હોય ત્યારે ફિલ્ટર અને ફર્ટિલાઈઝર ટેન્કના ઢાંકણ ટાઈટ રાખવા.
  6. ફિલ્ટરેશન સિસ્ટમને નિયમિત બેક વોશ (સેન્ડ ફિલ્ટર / સ્કીન ફિલ્ટર) કરો.
  7. સેન્ડ ફિલ્ટરને બેક વોશિંગ કરતી વખતે પહેલાં હંમેશા બેક વોશ વાલ્વને ખોલો ત્યાર પછી આઉટલેટ વાલ્વને બંધ કરો. આ પછી મધ્યના વાલ્વને ખોલાવો અને ત્યાર પછી ઈનલેટ વાલ્વને બંધ કરો.
  8. મેઈન, સબ-મેઈન, લેટરલ અને ફિલટર્સને  પાણીની ગુણવતાના આધારે અવારનવાર ફલશ કરો.
  9. ડ્રિપરને બંધ થઈ જતા અટકાવવા માટે કેમિકલ માવજત જરૂરીયાત મુજબ આપા.
  10. એસિડ જરૂરીયાત આપતી વખતે હંમેશા એસિડને પાણીમાં નાખો. પાણીને ક્યારેય એસિડમાં નાખો નહી.
  11. સિસ્ટમમાંથી પીવા માટેનું પાણી કોઈપણ સંજોગો માં લેવું નહિ.
  12. જો છોડને ઓછું પિયત મળશે તો મૂળનો વિકાસ રૂંધાશે.
  13. સમયાંતરે જમીન ઉપર ગોઠવણે ડ્રિપ ઈરિગેશનના ભાગોનું નિરીક્ષણ કરવું. (તેની ભૌતિક સ્થિતિ અને ફાર્મ મશીનરી ઉંદર, ખિસકોલી વગેરેથી નુક્શાન જાણવા માટે)
  14. સ્થાળાંતર વખતે, પાથરતી વખતે અથવા ફરિથી પાથરતી વખતે લેટરલને જોરથી ખેંચવી નહી.
  15. સબ-મેઈન ના છેડે આવેલ એન્ડ કેપ / લેટરલ સ્ટૉપ અને ફલશ વાલ્વ હંમેશા બંધ હાલતમાં હોવા જોઈએ. જો ખુલ્લા રાખવામાં આવે તો આ પાઈન્ટ દબાણમાં ઘટાડો કરશે, ટીપાં ઘટશે અને પાણીનો બગાડ થશે.
  16. વાલ્વ ઉપર દર્શાવેલ દિશામાં જ વાલ્વને વ્યવસ્થિત ફેરવવો, તેનો હથોડી ન મારવી કે કંપનીએ કરેલ ગોઠવણીને એસેમ્બલીને ન હલાવવી.
  17. સિસ્ટમની ડિઝાઈનમાં કોઈપણ સુધારો વધારો અને ફેરફાર કરતાં પહેલાં કંપનીના ટેકનિકલ ડિવિઝનનો અથવા ઓથોરાઈઝ ડિલરનો સંપર્ક કરવો. (એક પાક માટે કરેલ સિસ્ટમની ડિઝાઈન અન્ય પાક માટે પૂરતી અથવા અનૂકુળ ન પણ હોય)
  18. હંમેશા ડિઝાઈનની જરૂરીયાત પ્રમાણેનો જ પંપ વાપરો. પંપના હોર્સ પાવરમાં કોઈપણ ફેરફાર માટે કંપનીનો અથવા ઓથોરાઈઝ ડિલરનો સંપર્ક સાધો.
  19. પાણીની ગુણવતાથી ખાતરી કર્યા વગર પાણીનું સ્થળ ન બદલવું.
  20. ખેતીકાર્યો માટે ખેતરમાં વપરાતી ફાર્મ મશીનરી અથવા માણસો મારફતે થતા નુક્શાનને ટાળો.
  21. ખેતરમાંથી લેટરલને કાઢતી વખતે વ્યવસ્થિત ગોળાકારમાં વાળો અને ખાત્રી કરવી કે લેટરલને ટ્યુબને વાળતી વખતે GTO ને કોઈ નુક્શાન થયું નથી.
  22. વ્યવસ્થિત જાળવવાનું કદી ભુલો નહી. જૂના પાકને કાપણી વખતે અથવા તેના થડને દૂર કરતી વખતે સલામત રીતે ગોઠવણી કરો.
  23. ફકત ૧૦૦ ટકા પાણીમાં ઓગળે તેવા જ ખાતરો માઈક્રો ઈરિગેશન સિસ્ટમ (MIS)મારફતે ફર્ટીગેશનથી આપો. બીજી અન્ય જાતના ખાતરો ન વાપરો.
  24. ફુટ વાલ્વમાં લીકેજને બંધ કરવા અથવા અટકાવવા માટે સકશનની પાઈપમાં ગાયનું છાસ મિશ્રણ ન કરો. આને બદલે રબર ફલેપને બદલવો અથવા ફુટ વાલ્વને સ્ટેનરને વ્યવસ્થિત સાફ કરવો.
  25. અન્ય વિગત માટે ગોઠવણી-ક્રમ-જાળવણી મેન્યુઅલને તપાસવી કે કંપનીના ડિલરનો સંપર્ક સાધીને માર્ગદર્શન મેળવવું.
  26. ડ્રિપ પિયત પદ્ધતિના તમામ ભાગો વ્યવસ્થિત ગોઠવાયેલ છે અને તેઓ કાર્યક્ષમ રીતે કામ કરે છે કે નહી તે તપાસો.
  27. પ્રેશર ગેજ પદ્ધતિનું તેમજ ફિલ્ટરના ઈનલેટ અને આઉટલેટના સ્થળનું દબાણ માપવા માટે વપરાય છે. આ પ્રેશર ગેજ ખાસ કરીને વિકસાવેલ ત્રણ બાજુના વાલ્વની ગોઠવણી ફિલ્ટરના ઈનલેટ અને આઉટલેટ સાથે જોડેલું હોય છે, ત્રણ બાજુના વાલ્વનો નોબ વાપરીને ફિલ્ટરના ઈનલેટ અને આઉટલેટનું દબાણ માપવું અને તેનો દબાણનો તફાવત મેળવવો.
  28. સેન્ડ ફિલ્ટરનો ઈનલેટ અને આઉટલેટના દબાણનો તફાવત ૧.૫ કિલો સે.મી2. કરતાં વધારે હોય તો દર્શાવે છે કે ફિલ્ટરને બેક વોશિંગની જરૂર છે તેમ દર્શાવે છે.
  29. સેક્શનનો સેકશંલ વાલ્વ જરૂર મુજબનુ પિયત કરવા માટે ખોલાવો અને તાંત્રિક માહિતીનો રિપૉર્ટ ડિઝાઈન સાથે જોઈ તપાસી લેવો.
  30. ઈનલેટની પાસે સામાન્ય રીતે ૧.૫ - ૨ કિલો/સે.મી2. ની આજુબાજુનું દબાણ અને ૧ – ૧.૨ કિલો/ચો.સે.મી2. દબાણ સબ મેઈનના ઈનલેટ પાસે જરૂરી છે. તો જ ડ્રિપર દર્શાવ્યા મુજબનો પ્રવાહ આપશે.
  31. કેટલીકવાર ખેડુતો કાદવ કે ગાયનું છાણ પંપના પ્રાઈમિંગ માટે વાપરે છે. કાદવ અથવા ગાયનું છાણ જે વાપરવામાં આવે છે તેને પદ્ધતિમાંથી બાયપાસ વાલ્વ મારફતે બહાર ફેંકી દેવું. આમ નહીં કરવામાં આવે તો સેન્ડ ફિલ્ટરના સેન્ડબેડ ઉપર જમા થઈ જે સખત પડ બનાવશે જેથી વ્યવસ્થિત ફિલ્ટરેશન નહી થાય.
  32. બાયપાસ વાલ્વ વ્યવસ્થા પદ્ધતિમાં જરૂરી હોઈ હાલમાં તે આપેલ ન હોય તો લગાડવો.
  33. સિસ્ટમના દરેક ડ્રિપરે સરખો પ્રવાહ મળવો જોઈએ. તેની ખાત્રી કરવા માટે ડ્રિપર ડ્રોપર દ્ધારા કલાકે બહાર કાઢેલ પાણીને માપો. જો ડ્રિપરો પાણીમાં અશુદ્ધિઓને કારણે બંધ થયા હશે તો ડ્રિપરનો ડીસ્ચાર્જ ઓછો થયો હશે અને દરેક છોડ એકસરખું પાણી મેળવશે નહિ. આવા કિસ્સામાં ડ્રિપરને ખોલી પાણી મેળવશે નહીં. આવા કિસ્સામાં ડ્રિપરને ખોલી પાણી વડે સાફ કરવા અથવા એસિડ / ક્લોરીન ટ્રીટમેન્ટ આપવી. જો લેટરલ લીંકેજ થતું હોય કે વળી ગયું હોય તો પાણીનો પ્રવાહ ઓછો હશે તો આવા વળાંકને દુર કરો અને લેટરલના લીંકેજને દુર કરવો.
  34. જો સેન્ડ ફિલ્ટર અને સ્કીન ફિલ્ટરને નિયમિત સાફ કરશો તો તેની ફિલ્ટરીંગ કેપેસિટીમાં ઘટાડો થશે નહી અને કાર્યક્ષમ રીતે કામ કરવાનું ચાલુ રાખશે.
  35. ફિલ્ટર ઉપર કરેલ નિશાની સુધી અર્ધુ ફિલ્ટર રેતીમાં હંમેશા ભરવું. જો નિશાની કરતાં રેતી નીચે હોય તો બીજી રેતી ઉમેરવી. આ હેતુ માટે મળતી ખાસ દળેલી સિલીકા રેતી જ વાપરવી. (ફિલ્ટરમાં નદી / નાળાની સામન્ય રેતી ક્યારેય વાપરવી નહી.)
  36. સફાઈ માટે ડ્રિપરને લેટરલમાંથી ખેંચ્યા સિવાય ખોલી શકાય. (જો ડ્રિપરને થોડી ત્રાંસી ખેંચવામાં આવે તો લેટરલનાં કાંણા પહોળા થઈ લીંકેજ શરૂ થશે.)
  37. ડ્રિપરની અથવા ઈનલાઈનની ભીના કરવાની પદ્ધતિનું નિરીક્ષણ કરવું. જો ભીના કરવાની પદ્ધતિ એકસરખી ન હોય તો સુધારા માટેની યોગ્ય રીત અપનાવવી જેવી કે ડ્રિપરને સાફ કરવા, લેટરલ / ઈનલાઈન /સબ-મેઈનને એસિડ અથવા ક્લોરીન ટ્રીટમેન્ટ આપવી વગેરે.
  38. જો ડ્રિપર ફુવારાના અથવા જેટના રૂપમાં પાણી બહાર કાઢે તો તપાસવું કે ડ્રિપરની અંદરની બાજુએ ડાયાફામ હયાત છે કે નહી ? જો આડુંઅવળું થઈ ગયેલ હોય તો બદલવું.
  39. જો ટપક પિયત પદ્ધતિ થોડા દિવસ માટે બંધ કરેલી હોય તો તે શક્ય છે કે કેટલી જીવાતો ડ્રિપર અને લેટરલમાં ભરાઈ જાય, અંદર ઘર જેવું બનાવી પ્રવાહનો દર ઘટાડે જેથી આવું ન થાય તે માટે સિસ્ટમને દરરોજ ૧૦-૧૫ મિનીટ માટે ચાલુ કરવી હિટાવહ છે.
  40. કોઈ કારણોસાર લેટરલ તુટેલી માલુમ પડે તો કાપી નાખવી અને પોલી જોઈનર વડે લીંકેજ બંધ કરવ છેડાઓને જોડવા.
  41. લેટરલ ઉપર કાણું ખોટી જગ્યાએ પાડેલ હોય તો તે ગુફપ્લગ વાપરીને કાંણા ને લીકેજ બંધ કરવા માટે પુરી દેવું.
  42. લેટરલને ઉંદર, ખિસકોલી કે કોઈપણ આંતરિક ખેતીકાર્યો દરમ્યાન મશીનરી નુક્શાન ન થાય તે માટે સલાહ ભરેલું છે કે બે ડ્રિપર વચ્ચેની લેટરલને ૩ થી ૪ ઈંચ જેટલી જમીનમાં દાબવી.

ખિસકોલીઓ માટે :

ફકત ડ્રિપર અને લેટરલનો કેટલોક ભાગ જમીનની ઉપર રાખવો. ખિસકોલી પાણીની શોધમાં લેટરને બચકાં ભરશે અને સિસ્ટમને નુકશાન કરશે.

  • પાણીથી પુરેપુરા ભરેલા વાટકા ખેતરમાં અલગ અલગ જગ્યાએ ખિસકોલી માટે મુકવા.
  • મોટા ઝાડના થડની આજુબાજુ પ્લાસ્ટિક / પોલીથીનનું કપડું વિટાળવું જેથી કરીને ખીસકોલી ઝાડ ઉપર ચડી શકે નહી.

ઉંદર માટે :

ઉંદર ખુબ જ નુકશાન કારક સ્વભાવનો છે તે ફફ્ત ડ્રિપ ઈરિગેશન સિસ્ટમની લેટરલને જ નુકશાન નહી કરે પણ પરંતુ પુરા પાકના દાણા અને બીજ વગેરેનો પણ નાશ કરે છે.

એમિટિંગ પાઈપ / લેટરલ વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની મુખ્ય મુદ્દાઓ :

  1. એમિટિંગ પાઈપ (ઈનલાઈન ડ્રિપ) જમીનમાં દટાયેલી ગૌણ પાઈપ (સબમેઈન) સાથે ૧ થી ૧.૫ મીટરનાં લાંબા લેટરલ ના ટુકડા વડે જોડાયેલી છે કે નહી તેની ખાતરી કરો.
  2. એમિટિંગ પાઈપને જમીનમાં દટાયેલી સબમેઈન સાથે સીધી જોડવામાં આવે તો પંપ બંધ કરતી વખતે માટી એમિટરનાં કાંણામાથી શોષાઈ જવાથી એમિટર બંધ પડવાની શક્યતા રહે છે.
  3. જો શક્ય હોય તો સિસ્ટમને દરરોજ ચલાવવી તેમજ પાણીમાં દ્રાવ્ય રાસાયણીક ખાતરોનો ઉપયોગ કરવો.
  4. જમીનની નીચે (સબ સરફેસ) એપ્લિકેશન આપવા માટે રૂટ ગાર્ડ (મૂળને ડ્રિપરમાં પ્રવેશતા રોકે તેવા) ડ્રિપરનો ઉપયોગ કરવો અને દરરોજ ઓછામાં ઓછી ૧૫ મિનિટ આ સિસ્ટમ ચલાવવી અને પુરતું પાણી જાળવવું જે મૂળને ડ્રિપરમાં પ્રવેશતા રોકે છે.
  5. ઉંદરથી થતું નુકશાન અટકાવવા માટે ઝાડની નજીક અથવા દર પાસે પાણીથી ભરેલા વાસણને  મુકવું. જો તેમને બહાર જ પાણી મળી રહે તો લેટરલ કાપવાની તસ્દી લેતા નથી.
  6. લાઈનની સમાંતર ઝિંક સલ્ફાઈડ (ઉંદર નાશક દવા)નો ઉપયોગ કરવો. જો લાલ કીડી દ્ધારા ડ્રિપર કોરી ખાવાનો ઉપદ્ધવ હોય તો કીટકનાશક દવાનો છંટકાવ લેટરલ પર દર અઠવાડીયે નિયમિત રીતે કરવો. છ વખત છંટકાવ બાદ કીડીનો ઉપદ્ધવ ઓછો થશે.

જે ટર્બોલાઈન / જે-ટર્બો એક્યુરાની જાળવણી માટેનું આયોજન

અ. નં.

વિગત

દરરોજ

અઠવાડિયે

પખવાડિયે

મહિને

મોસમ / વર્ષના અંતે

લીકેજ માટેની ચકાસણી કરવી અને હોય તો કનેકટર લગાડો.

હા

હા

હા

હા

હા

ડ્રિપ સીસ્ટમ અને સબમેઈનનું દબાણ તપાસો.

હા

હા

હા

હા

હા

પાણી આખા ખેતરમાં પહોંચે છે કે નહી તેનું નિરિક્ષણ અને ઉપાય કરો.

હા

હા

હા

હા

હા

લેટરલ ગડી, વળ, કાંણા નું નિરીક્ષણકરો અને સમારકામ કરો.

હા

હા

હા

હા

હા

જમીનના ભિનાશના ધાબાનું કદ અને ઊંડાઈ તપાસો અને જરૂર જણાય તો ચલાવવાન સમયમાં ફેરફાર કરો.

હા

હા

હા

હા

હા

ડ્રિપરના આઉટલેટ ઉપર શેવાળ / લીલ ક્ષાર જામવાની માત્રા તપાસો અને સારવાર માટે પગલાં લો.

હા

હા

હા

હા

હા

ઉંદર કે યાંત્રિક તોડફોડ માટેથી ચકાસણી કરો અને હોય તો દુરસ્ત કરો.

હા

હા

હા

હા

હા

દરેક સેક્શન / વાલ્વમા પાણી દરમ્યાન છેલ્લી દસ મિનિટમાં લેટરલ ફલશ કરો.

હા

હા

હા

હા

હા

દરેક સેક્શન / વાલ્વમા પાણી દરમ્યાન છેલ્લી દસ મિનિટમાં સબમેઈન ફલશ કરવી.

હા

હા

હા

હા

હા

૧૦

ફિલ્ટરનું ઈનલેટ અને આઉટલેટ ચકાવવું, દરેક પાંચ કલાકે ફિલ્ટર ફ્લશ કરો / રેતી ફિલ્ટરનું બેક્ફલશ કરવું.

હા

હા

હા

હા

હા

૧૧

મેનલાઈન ફલશ કરો.

હા

હા

હા

હા

હા

૧૨

ફિલ્ટરોના એલીમેન્ટ / જાળ સાફ કરવી.

હા

હા

હા

હા

હા

૧૩

એસિડથી સારવાર કરો.

સારવારના કોઠામાં દર્શાવ્યા મુજબ

૧૪

ક્લોરીનથી સારવાર કરો.

સારવારના કોઠામાં દર્શાવ્યા મુજબ

૧૫

ડ્રિપર ચકાસો.

સારવારના કોઠામાં દર્શાવ્યા મુજબ

ફર્ટિગેશન:

પિયતની સાથે ખાતર આપતાં પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો :

  1. પાકની જરૂરીયાત પ્રમાણે ફર્ટિગેશન શિડ્યુલ તૈયાર કરો.
  2. ખાતરની ટાંકી થ્રોટલ વાલ્વ સાથે ઈનલેટ અને આઉટલેટ વાલ્વ વચ્ચે મેનીફોલ્ડથી જોડો.
  3. પાણીમાં સંપૂર્ણ દ્ધાવ્ય ખાતરનો જ ઉપયોગ કરો.
  4. ખાતરનું પ્રવાહી ( દ્ધાવણ )  બનાવવ માટે પ્લાસ્ટિક ડબાનો ઉપયોગ કરવો.
  5. પ્રવાહી ખાતર ટાંકીમાં નાંખતી વખતે કપડાં થી ગાળીને આપવું.

ખાતર આપવની પ્રકિયા દરમ્યાન ધ્યાનમાં રાખવાની બાબતો :

  1. ડ્રિપરના ડીલીવરી પોઇન્ટને ભીનાં કરવા માટે સીસ્ટમને ૧૦ મિનીટ ચલાવવી.
  2. ટાંકીના ઈનલેટ વાલ્વ બંધ રાખી ટેન્કમાં પ્રવાહી નાખો.
  3. ટાંકીમાં ખાતર ભરતાં પહેલાં પાણીથી બરાબર સાફ કરો.
  4. પ્લાસ્ટિકની ડૉલમાં પ્રવાહી તૈયાર કરો. ( ધાતુનાં વાસણો કદી પણ ઉપયોગ ન કરવો.)
  5. ભલામણ મુજબની માત્રાનું ખાતર લઈ જરૂરી પાણી ઉમેરો અને લાકડાનાં ટુકડા વડે હલાવતાં રહો. ( હલાવવા માટે હાથનો ઉપયોગ કરવો નહી ન ઓગળેલા ખાતરનાં પ્રવાહીનાં ઘન ખાતર, કચરો કે પ્રક્રિયાથી ઉદ્નભવેલા ક્ષાર ન હોવા જોઈએ. )
  6. જો કોઈ નવું ખાતર પ્રથમ વખત ઉપયોગમાં લેવાનું હોય તો તેની પાણીમાં દ્ધાવ્યતા ચકાસવી, ખાતરને પાણીમાં ઉમેરી હલાવવાથી બધુ ખાતર ઓગળી જાય અને પ્રક્રિયાથી ક્ષાર ન બને તો તે પિયત સાથે આપવા માટે યોગ્ય છે તેમ જાણવું.
  7. બે કે તેથી વધારે પ્રકારનાં ખાતર ભેળવવા નહી તેમજ સાથે ઓગળવા પણ નહી. એક થી વધારે ખાતર એક સાથે આપવાની જરૂર પડે તો બન્નેને અલગ-અલગ ઓગાળી ભેળવવા.
  8. પ્લાસ્ટિકની ડોલ તૈયાર કરેલ ખાતર ટાંકીમાં ઉમેર્યા પછી ટાંકીનું ઢાંકણ બરાબર બંધ કરો.
  9. ખાતર ટાંકીમાં ભર્યા પછી ટાંકી ઈનલેટ અને આઉટલેટ વાલ્વ ખોલો (બન્ને વચ્ચે પ્રેશરનો તફાવત ૦૨ કિ.ગ્રામ/સે.મી.2 રાખો )
  10. થ્રોટલ વાલ્વને જ્યાં સુધી એક્સરખો પ્રવાહ ન નિક્ળે ત્યાં સુધી બંધ કરતા જાવ.
  11. ખાતર આપ્યા પછી થ્રોટલ વાલ્વને સંપૂર્ણ ખોલી નાખવા અનને ટાંકીના ઈનલેટ અને આઉટલેટ વાલ્વને બંધ કરવા.
  12. ખાતર આપ્યા પછી ટાંકીન સાફ કરવી.

ખાતર આપતી વખતે આટલું ન કરો :

  1. ક્યારેય પણ ઘન ખાતરને ટાંકીમાં નાખવું નહીં.
  2. અધકચરું ઓગાળેલ ખાતર ટાંકીમાં ન નાખવું.
  3. બે પ્રવાહી ખાતર (જેનું મિશ્રણ થતું નથી) ને એક સાથે ટાંકીમાં નાખાવું નહીં.
  4. દ્ધાવ્યતા વધારવા ખાતરનાં પ્રવાહીનેગરમ કરવું નહિ.
  5. ટાંકીનો આઉટલેટ વાલ્વ બંધ કરીને ખાતર ન આપવું.
  6. ખાતર આપતી વખતે ટાંકીનું ઢાંકણ ખુલ્લું ન રાખવું.
  7. ખાતર આપતી વખતે ટાંકીનો ડ્રેઈન વાલ્વ ન ખોલાવો.

સિસ્ટમની જાળવણી : સીસ્ટમની જાળવણી ચાર તબક્કામાં વહેંચાયેલી છે.

રોજની અથવા ટુંકા ગાળાની જાળવણી :

 

 

 

  • પંપ ચાલુ કર્યા પછી સિસ્ટમમાં દબાણ સ્થિર થવા દો. સબ-મેઈનમાં દબાણ અને લીકેજ ચકાસો. જો દબાણ ઓછું હોય તો મુખ્ય અથવા બાયપાસ વાલ્વથી યોગ્ય રીતે સેટ કરો.
  • જ્યાં સુધી ચોખ્ખું પાણી હવેવાનું ચાલુ ન થાય ત્યાં સુધી દરેક ગૌણ (સબમેઈન) લાઈનને દરેક શીફટના અંતે ફલશ કરો.
  • ફિલ્ટરનું ઈનલેટ અને આઉટલેટનું દબાણ ચકાસો. હાઈડ્રોસાયક્લોન ફિલ્ટરની રાબડી સાફ કરો. સેન્ટ ફિલ્ટરને દરેક પાંચ કલાકે બેક વોશ કરો. સ્કીન / ડિસ્ક ફિલ્ટરને દિવસનાં અંતે ફલશ કરો.
  • લેટરલ / એમિટિંગ પાઈપની ચકાસણી કરો અને ખાતરી કરો કે જે તે વાલ્વ હેઠળના પ્લોટના બધા વિસ્તારમાં ખુણે ખાંચરે પાણી પહોંચે છે કે નહી જો ટીપા યોગ્ય રીતે ન પડતા હોય તો કારણ શોધી તેનું નિવારણ કરો.
  • જો લેટરલ કે એમિટિંગ પાઈપમાં વળ, કાપો કે છીદ્ધ દેખાય અને તેના કારણે પાણીના પ્રવાહમાં વધઘટ થાય તો તેને તાત્કાલીક દુરસ્ત કરો.
  • શીફટના અંતે ભીજેલ ધાબાની સપાટીની ચકાસણી કરી. ભીનાશ એક સરખી છે કે નહી તે ચકાસો.
  • ભીંજાયેલ જમીનનાં સ્તરનો આધાર જમીનનો પ્રકાર, ડ્રિપરનો પ્રવાહ વચ્ચેના અંતર ઉપર રહે છે, જમીનનું સ્તર સતત ૭૫ સે.મી. ઊંડાઈ સુધી એકસરખી રીતે ભીંજાય તેવું જમીનને અનુરૂપ ડ્રિપર પસંદ કરો. જો વચ્ચે સૂકો વિસ્તાર દેખાય તો સિસ્ટમને વધારે સમય માટે ચાલુ રાખવી.
  • ડ્રિપર પર ક્ષાર  અને કાંપ જામેલ હોય કે ડ્રિપર બંધ હોય તે માટે ખેતરનાં છેવાડા સુધી નિરીક્ષણ કરી તે માટે અસરકારક પગલાં ભરવાં.
  • સુર્યના તડકામાં ખુલ્લા ડ્રિપરના આઉટલેટ પાસે શેવાળ કે લીલ જામી ગઈ હોય તો તેના નિવારણ માટે પણ અસરકારક પગલાં ભરવા.
  • લેટરલ લાઈનનું એન્ડ પ્લગ એકધારા ૧ થી ૫ ખોલતા જઈ લેટરલ લાઈન  ફલશ જ્યાં સુધી ચોખ્ખું પાણી નહિ આવે ત્યાં સુધી ૧ થી ૩ મિનીટ સુધી ફલશ કરી એન્ડ પ્લગ બંધ કરો.
  • ખેડ દરમ્યાન મનુષ્ય, પ્રાણી કે યંત્રો દ્ધારા તેમજ ઉંદરો કે ખિસકોલીથી નુકશાન થયું છે કે નહી તેનું નિરીક્ષણ કરો અને જો નુકશાન થયેલ હોય તો તાત્કાલીક દુરસ્ત કરો.

સમયાંતરે અથવા પખવાડિયે લેવામાં આવતી જાળવણી :

  • દિવસના કાર્યને અંતે મેઈન અને સબમેઈનના એન્ડ કેપ / ફલશ વાલ્વ ખોલો અને જમા થયેલ કચરો દુર કરો.
  • સ્કીન / ડિસ્ક ફિલ્ટરમાં જમા થયેલ કચરો એલિમેન્ટ ખોલી ને દુર કરી સંપૂર્ણ રીતે સાફ કરવાં.
  • સેન્ડ ફિલ્ટરની કાર્યક્ષમતા વધારવા ફિલ્ટરનું ઢાંકણ ખોલી મુખ્ય કાણામાંથી પાણી વહેવા દો અને મશરૂમ ‘ કેન્ડલ વચ્ચે તેની સ્થિતિ બદલાય નહી તે રીતે હાથની આંગળીઓથી વચ્ચેના કચરો દુર કરો. ’

(૩) સમયાંતરે રાસાયણીક અથવા એસિડ, કોપર સલ્ફેટ, ક્લોરિનેશન, ટેફલોન, કેમિગેશન વગેરે :

¨      પાણી સ્ત્રોતનું વર્ષમાં એક વખત પૃથક્કરણ કરવો. (ખાસ કરીને એપ્રિલમાં જ્યારે કુલ દ્ધાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય છે.)

¨      શેવાળના નમુના માટે સપ્ટેમ્બરમાં વરસાદ ઋતુ પછી પૃથક્કરણ કરાવો.

¨      ડ્રિપર બંધ પડવાની માત્રા માટે પાણીનું પ્રાથમિક વર્ગીકરણ અને એસિડ ટ્રીટમેન્ટનો ગાળો કોઠા-2 મુજબ છે.

ડ્રિપર બંધ પડવાની માત્રા માટેનું પ્રાથમીક વર્ગીકરણ અને એસિડ માવજતનો ગાળો

અ.નં.

ડ્રિપર બંધ પાડનાર પરિબળ

મામુલી ભયજનકતા પીપીએમ / (મિ.ગ્રા./લી.)

મધ્યમ ભયજનકતા પીપીએમ / (મિ.ગ્રા./લી.)

વધારે ભયજનકતા પીપીએમ / (મિ.ગ્રા./લી.)

બંધબેસતી જરૂરી એસિડ સારવારનું સમય અંતર ફર્ટિગેશન વગેરે

એસિડિક તથા ૧૦૦ % દ્ધાવ્ય ફર્ટિગેશન સાથે

તરલ ઘન પદાર્થ

૫૦ થી ઓછું

૫૧ થી ૧૦૦

૧૦૧ થી વધુ

-

-

પીએચ

૭ થી ઓછું

૭.૧ થી ૮.૦

૮.૧ થી વધુ

-

-

કુલ દ્ધાવ્ય ક્ષાર માટે એસિડ ટ્રીટમેન્ટ

૫૦૦ થી ઓછું

૫૦૧ થી ૭૫૦

૭૫૧ થી ૧૦૦૦

૬ મહિને

૧૨ મહિને

૧૦૦૧ થી ૧૨૫૦

૪ મહિને

૮ મહિને

૧૨૫૧ થી ૧૫૦૦

૩ મહિને

૬ મહિને

૧૫૦૧ થી ૨૦૦૦

૨ મહિને

૪ મહિને

મેંગેનીઝ

૦.૧ થી ઓછું

૦.૧૧ થી ૦.૧૪

૧.૫ થી વધુ

૧ મહિને

૨ મહિને

કુલ લોહ

૦૨ થી ઓછું

૦.૨૧ થી ૧.૫

૧.૫ થી વધુ

-

-

હાઈડ્રોજન સલ્ફાઈડ

૦.૨ થી ઓછું

૦૨૧ થી ૨.૦

૨.૦ થી વધુ

-

-

જૈવિક / બેકટેરીયલ ઘટકો મિલીયન / મિલિલિટર

૦.૦૧ થી ઓછું

૦.૦૧૧ થી ૦૦૫ સુધી

૦.૦૫૧ થી વધુ

-

-

ક્લોરીનેશન સારવાર *

૬ મહિને

૩ મહિને

૨ મહિને

-

-

* પાણીમાં અદ્ધાવ્ય અને પાણીથી હલકો જૈવિક ઘન કચરો માત્ર સેન્ડ ફિલ્ટરની દુર કરી શકાય છે.

સિસ્ટમને રાસાયણીક સારવાર આપતાં પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

  • પાણીમાં અદ્ધાવ્ય , પાણી થી ભારે ૨૦ માઈક્રોનથી નાના કદને કલે(માટી), ૨.૧ થિ ૫.૦ માઈક્રોનનાં કદને સિલ્ટ, ૫.૧ થી ૧૦૦ માઈક્રોનથી ઝીણી રેતી માત્ર ફિલ્ટરમાં થી પસાર થઈ શકે  છે.
  • ૧૦૧ માઈક્રોનથી મોટા કણો સ્કીન / ડિસ્ક ફિલ્ટરથી સાફ થાય છે.
  • જો અદ્ધાવ્ય દ્ધવ્યો ૩ પીપીએમથી ઓછી માત્રામાં હોય તો ફિલ્ટરની જાળી / ડિસ્ક એકાંતરે સાફ કરો.
  • ૩ પીપીએમથી વધારે માત્રાના ભારે અદ્ધાવ્ય કણો (રેતી) માટે હાઈડ્રોસાયક્લોન ફિલ્ટરનો સેન્ડ ફિલ્ટર પહેલાં પ્રાયમરી ફિલ્ટરેશન માટે ઉપયોગ કરવો. ત્યાર પછી સેન્ડ ફિલ્ટર, ડિસ્ક / સ્કીન ફિલ્ટર સીરીઝમાં આપવા.
  • જીવાણુંઓની વ્રુદ્ધિ પાણીમાં શેવાળ અને જૈવિક દ્ધવ્યોનો વધારો દર્શાવે છે તેને દુર કરવા ક્લોરિનેશન સારવાર આપવી યોગ્ય છે.

એસિડથી સારવાર :

એસિડ સાથે  કામ લેવા હંમેશા ગૉગલ્સ , સર્જિકલ અથવા રબરના હાથ મોજા વાપરો ખાસ કાળજીના ભાગ સ્વરૂપે હંમેશા પાણીમાં એસિડ ઉમેરવું, નહિ કે એસિડમાં પાણી (જે ખતરનાક છે) એસિડ માટે હંમેશા પ્લાસ્ટિકનું વાસણ ઉપયોગમાં લો.

એસિડ ટ્રીટમેન્ટ માટે વપરાતાં વેપારી ધોરણનાં એસિડ :

  1. હાઈડ્રોક્લોરિક એસિડ (HCI) – ૩૫ %
  2. નાઈટ્રિક એસિડ (HNO3) – ૩૩ %
  3. સલ્ફયુરિક એસિડ (h2SO4) – ૬૫ %
  4. ઓર્થો ફોસ્ફોરિક એસિડ (H3PO4) – ૮૫ %
  • એસિડ મોટા ભાગના કેસમાં ૦.૬% (૬૦૦૦ પીપીએમ) વેપારી ધોરણે પિયત સાથે આપવાથી ૨.૪ પીએચ સુધીના અદ્ધાવ્ય પદાર્થ ને પાણીમાં દ્ધાવ્ય બનાવે છે.
  • મોટાભાગના કેસમાં હાઈડ્રોક્લોરિક એસિડ બધા કરતાં અસરકારક અને સસ્તો છે.
  • સંવેદનશીલ પાકો માટે નાઈટ્રીક એસિડ અથવા સલ્ફયુરિક એસિડનો ઉપયોગ કરી શકાય છે.
  • જ્યાં કેલિશ્યમ અને મેગ્નેશિયમ ક્ષાર ૫૦૦ પીપીએમથી વધારે હોય ત્યાં સલ્ફયુરિક એસિડની ભલામણ ન કરવી નહિ.
  • એસિડ સારવાર હંમેશા ક્લોરિનેશન પહેલા કરો. (ક્લોરિનેશન ૬.૫ થી ૮.૫ પીએચ સુધી અસરકારક છે.)
  • લોહનું ફોસ્ફરિક એસિડ સાથે રાસાયણીક સંયોજન અદ્ધાવ્ય સ્ફટિકો બનાવે છે. આવા સંજોગોમાં ઓર્થોફોસ્ફરિક એસિડ વાપરો નહિ.

એસિડ સારવારની રીત :

  1. કોઈપણ સમયે ડ્રિપર પર ક્ષાર જમા થઈ જવાથી બંધ થતા જણાય તો એસિડ સારવાર ફરજિયાત આપો.
  2. આઠ ડ્રિપરમાંથી ચાર ઓછા અસર પામેલ અને ચાર વધારે અંશે અથવા સંપૂર્ણ બંધ થયેલ પસંદ કરો.
  3. દરેક સેકશનનો પ્રવાહ ડ્રિપર સંખ્યા અને દર્શાવેલ દબાણે પ્રવાહ પ્રમાણે નોંધો.
  4. શરૂઆતમાં સેકશનની પ્રથમ લેટરલનું અને છેલ્લી લેટરલનું દબાણ માપો અને નોંધો.
  5. ફિલ્ટર, મુખ્ય લાઈન, ગૌણ લાઈન અને લેટરલ એન્ડ ખોલી ફલશ કરી સાફ કરો.
  6. વાલ્વ (શીફટ / સેક્શન) ના પ્રવાહના આધારે ૦૬% ના પ્રમાણ પર ૧૫ મિનીટ માટે એસિડનો જથ્થો નક્કી કરો. એક અંદાજ પ્રમાણે ૧૫ લિટર એસિડ એટલે કે ૧ લિટર / મિનીટ એસિડ દરેક ૧૦ ઘનમીટર / કલાક માટે આપવો. એટલે કે (૧૦,૦૦૦ લિટર / કલાક X ૦.૦૦૬ (૦.૬%) X ૦.૨૫ કલાક ) = ૧૫ લિટર , ૧૫ મિનિટમાં આપવાથી એસિડ ટ્રીટમેન્ટ પૂર્ણ થાય.
  7. જ્યાં શક્ય હોય ત્યાં વેંચુરી ઈંજેક્ટર અને બુસ્ટર પંપ વડે એસિડની સારવાર આપો.
  8. ૧૦,૦૦૦ લિટર / કલાકના પ્રવાહમાં વેંચુરીથી જો ૧.૫ લિટર / મિનિટ પાણી ખેંચાતુ હોય તો ૧૫ લિટર એસિડ ૭.૫ લિટર પાણીમાં ઉમેરી ૦.૬ % પ્રમાણે ૧૫ મિનિટ માટે આપી શકો.
  9. જો વેંચુરી ઉપલબ્ધ ન હોય તો ફર્ટિલાઈઝર ટેંકનું કનેકશન ઉલટાવવું એટલે કે ટેન્ક આઉટલેટ થ્રોટલ વાલ્વની ઉપરવાસ અને ઈનલેટ થ્રોટલ વાલ્વની હેઠળવાસની પાઈપ સાથે જોડો.
  10. દરેક ૧૦ ઘનમીટર / કલાકના પ્રવાહ માટે ૧૫ લિટર એસિડ ફકત પાણીમાં ઉમેરો અને સંપૂર્ણ ટાંકી ભરી ઢાંકણ બંધ કરવું. જો ટાંકી ૬૦ લિટરની હોય તો, પહેલા ૪૫ લિટર પાણી થી ટાંકી ભરી દેવી અને પછી તેમાં ૧૫ લિટર એસિડ રેડો.
  11. વેંચુરીનું ઈનલેટ અને આઉટલેટનું સેટિંગ વિખાય નહી તે ખોલો.
  12. જો ફર્ટિલાઈઝર ટેંક ઉપયોગમાં લેવાની હોય તો થ્રોટલ વાલ્વથી ઈનલેટ અને આઉટલેટ વચ્ચે મા દબાણનાં તફાવત ૦.૮ કિ.ગ્રા. / સે.મી.2 (૮૦ મીટર હેડ) રાખો.
  13. ૧૫ મિનિટે એસિડ સારવાર પતી જાય પછી ફર્ટિલાઈઝર ટેન્કનાં ઈનલેટ અને આઉટલેટના વાલ્વ બંધ કરો.
  14. જો કોઈ નોંધપાત્ર (૫% થી વધારે) ફેરફાર ન જણાય તો ટ્રીટમેન્ટ ફરી આપો.
  15. દરેક સેકશન માટે ઉપરની સારવાર કરો.
  16. એસિડ ટ્રીટમેન્ટનાં અંતે સાધન સામગ્રીમાંથી એસિડ દુર કરી ચોખ્ખા પાણીથી સાફ કરો અને જણાય તો ક્લોરિનેશન ટ્રીટમેન્ટ આપો.

જુદા જુદા ઉપયોગ માટે પાણીમાં છુટા ક્લોરીનની ભલામણો

ક્રમ

ક્લોરિનેશનનો હેતુ

આપવાની રીત

પ્રમાણ પીપીએમ (મિ.ગ્રા. /લિ.) હેતુ યુનિટ પાસે

પ્રમાણ પીપીએમ (મિ.ગ્રા. /લિ.) સીસ્ટમને છેવાડે

ઈંજેકશન લિ/કલાક/૧૦ ઘન લિટર પ્રવાહ માટે

શેવાળ રોકવા માટે

સતત પ્રક્રિયા

૧-૧૦ વધુમાં વધુ

૦.૫ થી ૧.૦ વધુમાં વધુ

૦૦૨૯-૦.૨૯

શેવાળ અને બેકટેરીયા મારવા

હપ્તેથી

૧૦-૨૦ , ૨૦ મિનિટ માટે

૦.૫ થી ૧.૦ વધુમાં વધુ

૦.૦૨૯-૦.૫૮

શેવાળ અને જૈવિક ઘટકો ઓગાળવા સુપર ક્લોરિનેશન

હાઈપર ક્લોરિનેશન

૫૦-૫૦૦ ૫ મિનિટ માટે

૫ થી ૧.૦ વધુમાં વધુ

૦.૨૯-૨૯

લોહનું ઓક્સિડેશન કરવા ફિલ્ટર પહેલા

સતત પ્રકિયા

૦.૬ મિ.ગ્રા. /લિ. પીપીએમ આયર્નની અશુદ્ધતા

૦.૫ થી૧.૦ વધુમાં વધુ

૦.૦૨૨  /પીપીએમ આયર્નની અશુદ્ધતા પ્રમાણે

મેંગેનીઝનું  ઓક્સિડેશન કરવા પ્લોત ફિલ્ટર જરૂરી

સતત પ્રકિયા

૦.૬ મિ.ગ્રા. /લિ. પીપીએમ મેંગેનીઝની અશુદ્ધતા

૦.૫ થી૧.૦ વધુમાં વધુ

૦.૨૨ / પીપીએમ મેંગેનીઝની અશુદ્ધતા પ્રમાણે

સલ્ફરની અશુદ્ધિ દુર કરવા પ્લોટ ફિલ્ટર જરૂરી

સમયાંતરે

૦.૬ મિ.ગ્રા. /લિ. પીપીએમ H2S ૨૦ મિનિટ માટે

૦.૫ થી૧.૦ વધુમાં વધુ

૦.૨૨ / પીપીએમ સલ્ફર ની અશુદ્ધતા

પ્રમાણે

સબ સરફેસ પીયત માટે ટ્રાફલોન ટ્રીટમેન્ટ (ટ્રેફલોન-૫) નું સમય અંતર

અસરકારક પિયત સમય (મહિના)

માવજતનો સમયગાળો

મધ્યમ – ભારે જમીન

મધ્યમ – હલકી જમીન

૨ મહિનામાં ઓછા

(૬૦ દિવસ)

પાક દીઠ એક વખત

પાક દીઠ એક વખત

૪ મહિનામાં ઓછા

(૧૨૦ દિવસ)

પાક દીઠ એક વખત

પાક દીઠ એક વખત

૮ મહિનામાં ઓછા

(૨૪૦ દિવસ)

પાક દીઠ એક વખત

પાક દીઠ એક વખત

કાયમી પાકો

વર્ષ દરમ્યાન ત્રણ વખત

વર્ષ દરમ્યાન ત્રણ વખત

નોંધ : હલકી જમીન : ૭૦% થી વધારે રેતી, ૮% થી ઓછી કાંપવાળી માટી

ક્લોરિનેશન ટ્રીટમેન્ટ :

ક્લોરિનેશન ટ્રીટમેન્ટ દરમ્યાન રાખવાની સાર સંભાળ :

  1. ક્લોરીન , ક્લોરીન ગેસ કે અન્ય સ્વરૂપમાં મનુષ્ય અને પ્રાણી માટે ઝેરી હોવાથી ચામડી, આંખો નાક કે મોં મોટા સાથે સીધો સંપર્ક ન થાય તે ખાસ જોવું.
  2. ક્લોરીનેશન સારવાર દરમ્યાન ગૉગલ્સ , હાથ મોજા અને સુરક્ષા પદરખા અવશ્ય પહેરવાં.
  3. રાસાયણીક સંયોજનના લીધે અકસ્માતથી બચવા માટે ક્લોરિનેશન પ્રક્રિયા બાદ દ્ધાવણ બનાવવાનું વાસણ પાણીથી સંપૂર્ણ સાફ કરો.
  4. પેટા ઘટકો કે એમાનિયમ ક્લોરાઈડ વગેરે બનતાં અટકાવવા ક્લોરિનેશન દરમ્યાન કે તુરત જ નાઈટ્રોજનયુક્ત રાસાયણીક ખાતરનો ક્યારેય પણ ઉપયોગ કરવો નહીં.
  5. કયારેય એસિડને ક્લોરિનના દ્ધાવણમાં ઉમેરવું નહીં અને એસિડ ટ્રીટમેન્ટ  માટે અલગ વાસણનો ઉપયોગ કરો.
  6. ક્લોરિનનું દ્ધાવણ બનાવવા માટે હંમેશા ક્લોરિન પ્રોડક્ટ પાણીમાં ઉમેરો. પાણીને ક્લોરીન સોલયુશનમાં કે રસાયણમાં કદી ઉમેરો નહિ.

ક્લોરિનના ત્રણ સ્વરૂપો :

  1. CI2 ગેસ – ૧૦૦% ક્લોરિન
  2. સોડિયમ હાઈપોકલોરાઈટ (NaocI, ૧૦ % ક્લોરિન)
  3. કેલ્શિયમ હાઈપોક્લોરાઈટ (Ca (OCI2) 65%  ક્લોરિન) : બ્લીચિંગ પાઉડર

ક્લોરિનેશન કરવાના કારણો :

  1. શેવાળ થતી અટકાવવા
  2. જૈવિક ઘટકો છુટ કરવા
  3. દ્ધાવ્ય જૈવિક ઘટકોને એકઠા થતાં રોકવાં
  4. લોહ, મેંગેનિઝ, ગંધક વગેરેને પાણીથી છુટા પડવા.

ક્લોરિન દ્ધાવણ બનાવવાની પદ્ધતિ :

  1. સૌથી સામાન્ય ઉપયોગી કેમિકલ કેલ્શિયમ હાઈપોક્લોરાઈટ (બ્લીચિંગ પાઉડર) પરંતુ તે પાણીમાં સંપૂર્ણપણે દ્ધાવ્ય નથી.
  2. જરૂરી પાણી દ્ધાવ્ય બનાવવા માટે લઈ પાઉડર ઉમેરવો.
  3. પાણીમાં 20H અને CI દ્ધાવણ અલગ રહે છે જે ૬.૫ થી ૮.૫ pH દરમ્યાન ખુબ સક્રિય રહે છે. આમ pH દરમ્યાન ખુબ સક્રિય રહે છે. આમ pH ૬.૫ કરતાં ઓછો કે ૮.૫ pH કરતાં વધારે થાય તો તેની અસર કદાચ ૩૦ % જેટલી ઘટે છે.
  4. દ્ધાવણને તળીયે બેસવા દેવું અને પાતળાં કપડાથી ગાળી લેવું CI2 એ HOcI ના સ્વરૂપ માં હશે.

ક્લોરિનેશન સારવારની રીત:

  1. ફિલ્ટર, મુખ્ય લાઈન, ગૌણ લાઈન અને લેટરલને ફલશ કરો.
  2. જો એસિડ ટ્રીટમેન્ટની જરૂરીયાત હોય તો આપો. (વધુ અસરકારકતા માટે ક્લોરિનેશન પહેલાં આપવી.)
  3. જ્યારે ક્લોરિનેશન ટ્રિટમેન્ટ શેવાળને દુર કરવા માટે વપરાય છે ત્યારે આયર્નનું પ્રેસીપિટેશન અટકાવવા pH ની વેલ્યુ ૬.૫ ટ્રીટમેન્ટ દરમ્યાન જાળવો. આવા કિસ્સામાં ક્લોરિનેશન મીડિયા ફિલ્ટર પહલાં કરવું. ફ્રી આયૃન ઘટકોને દુર કરવાનો ક્લોરિનેશન જ એક ઉત્ત્મ ઉપાય છે. હાઈડ્રોસાઉક્લોન ફિલ્ટર ફેરસનું ફેરિકમાં રૂપાંતર કરવામાં મદદ કરે છે.
  4. કોઠામાં દર્શાવ્યા પ્રમાણે CI2 ના પ્રમાણ મુજબ ક્લોરિનેશન યંત્રનું આઉટલેટ સેટ કરો.
  5. કોઠામાં દર્શાવ્યા પ્રમાણે ક્લોરિનેશન સોલ્યુશન ઉમેરવું જ્યારે છુટો ક્લોરીન ડ્રિપર સુધી પહોંચે એટલે ક્લોરિન લિટમસ પેપર પર ૩ પીપીએમ કે તેથી ઓછું હોય તો ફરીથી ક્લોરિનેશન ટ્રીટમેન્ટ કરવી.

એસિડ અને ક્લોરીન ટ્રીટમેન્ટ સમયે લેવાના સલામતીના પગલાઓ :

  1. એસિડ ખતરનાક હોઈ દરેક એસિડને કાળજીપુર્વક રાખવા. આંખો અને હાથના સ્પર્શને અટકાવવા માટે સલામતી માટેનો ગ્લાસ અને હાથમોજાનો ઉપયોગ કરો.
  2. ક્યારેય પણ એસિડમાં પાણી નાખવું નહીં. હંમેશા એસિડને મંદ કરવા માટે પાણીમાં નાખો.
  3. એસિડ ટ્રીટમેન્ટ અને ક્લોરીન ટ્રીટમેન્ટ એક સાથે આપવા નહીં કારણ કે તેમ કરતાં ક્લોરિન ગેસ છુટો પડશે જે ઝેરી છે.
  4. એસિડ અથવા વધુ ક્લોરીનની જલદતાવાળુ મિશ્રણ પાણી પિયત માટે નુકશાનકારક ખતરનાક છે. રાસાયણીક ટ્રીટમેન્ટ વખતે ખાતરી કરવી કે કોઈ મનુષ્ય અથવા પ્રાણી આવું પાણી પીએ નહીં.
  5. ટ્રીટમેન્ટ વખતે એસિડ શરીરના કોઈપણ ભાગના સંપર્કમાં આવે તો ઝેરી પાણીને લીધે દઝાશે. આમ થાય તો તુરત જ ડોક્ટરનો સંપર્ક સાધવો.
  6. ક્લોરીન ગેસ અથવા એસિડને શ્વાસમાં જતા રોકવા ક્લોરીન અથવા એસિડ ભરેલ ડોલને ટોકી ઉપર વાંકી વાળવી નહીં.
  7. એસિડ માટે જ સાધનો વાપરમવામાં આવે છે તે એસિડની અસરથી મુક્ત છે તે બાબતની ખાતરી કરો.
  8. એસિડ અથવા ક્લોરીન ટ્રીટમેન્ટ આપતાં પહેલા સેન્ડ ફિલ્ટરને બેક્વોશ કરો જેથી કહોવાયેલી / સડેલ અશુદ્ધિઓ ડ્રિપ સિસ્ટમમાં પ્રવેશતી અટકે.
  9. રાસાયણીક ટ્રીટમેન્ટ પુરી થયા પછી (એસિડ અથવા ક્લોરીન) ફિલ્ટરેશનના ભાગો , સ્ક્રીન ફિલ્ટર અને ખાતરના ટાંકીને ચોખ્ખા પાણીથી સાફ કરો.

જમીનની નીચે (સબ સરફેસ) ડ્રિપ સિસ્ટમમાં મૂળનો ડ્રિપરમાં પ્રવેશ થતાં અટકાવવા શુ કરશો ?

સિઝનલ શાકભાજી માટે મુળ અને છોડના અવશેષો જલદ એસિડ ટ્રીટમેન્ટથી મારી શકાય છે. મૂળનો ડ્રિપરમાં પ્રવેશ થતો અટકાવવા, કાયમી પાકોની કાળજી લેવા માટે દરરોજ વધુમાં વધુ ૧૫ મિનિટ સિસ્ટમ ચાલુ કરી પાણીની ખેંચ પડવા દેવી નહીં જલદ (હરબીસાઈડ – ટ્રાઈફલુરાલીન - ૫) ટ્રાફલોન યોગ્ય જથ્થામાં એટલે કે ૧ સીસી / ૨૦ આઉટલેટસ એક સાથે ૧૦ મિનિટમાં આપવું. ટ્રીટમેન્ટની સંખ્યા અને સમય અંતર પાકના પિયત સમય પર આધાર રાખે છે. તેની વિગતો કોઠામાં દર્શાવેલ છે.

પાણીના નમુના પૃથક્કરણ અહેવાલનું વર્ગીકરણ (આઈ.એસ. ૧૪૭૯૧ - ૨૦૦૦)

અ.નં

વિગત

હાજરીની તીવ્રતા પ્રશ્નો

યુનિટ (એકમ)

સાધારણ

વધારે

ઘણા વધારે

પીએચ

-

<

>

ઈલેકટ્રીક્ટીવીટી (સેલીનીટી)

મીલીમોઝ / સેમી

<૦.૮

૦૮-૩.૦

<૩.૦

કુલ દ્ધાવ્ય ક્ષારો

પીપીએમ

<૫૦૦

૫૦૦-૬૦૦

>૬૦૦

ભારેપણું

પીપીએમ

<૨૦૦

૨૦૦-૩૦૦

>૩૦૦

કેલ્શીયમ

પીપીએમ

<૬૦

૬૦-૧૦૦

>૧૦૦

મેગ્નેશીયમ

પીપીએમ

<૨૫

૨૫-૪૦

>૪૦

કાર્બોનેટ

પીપીએમ

<૨૦૦

૨૦૦-૬૦૦

>૬૦૦

ક્લોરાઈટ (ઝેરી)

પીપીએમ

<૧૪૦

૧૪૦-૩૫૦

>૩૫૦

બાય કાર્બોનેટ

પીપીએમ

<૨૦૦

૨૦૦-૬૦૦

>૬૦૦

૧૦

સલ્ફેટ

પીપીએમ

<૨૦

૨૦-૫૦

>૫૦

૧૧

સોડિયમ

પીપીએમ

<૧૦૦

૧૦૦-૨૦૦

>૨૦૦

૧૨

એસએઆર

-

<

૩-૯

>

૧૩

પોટેશીયમ

પીપીએમ

<૧૦

૧૦-૨૦

>૨૦

૧૪

સલ્ફાઈડ

પીપીએમ

<૧૫

૧૫-૨૫

>૨૫

૧૫

આયર્ન (લોહ)

પીપીએમ

<૦.૧

૦.૧-૦.

>૦.૪

૧૬

મેગ્નેશીયમ

પીપીએમ

<૦.૨

૦.૨-૦.૪

>૦.૪

૧૭

તરતા ઘન પદાર્થો

પીપીએમ

<૧૦

૧૦-૧૦૦

>૧૦૦

સબસર ફેસ ઈન્સ્ટોલેશન માટે ટ્રાઈફલોન ટ્રીટમેન્ટની પદ્ધતિ :

  1. ટપક સિંચાઈમાં કન્ટ્રોલ વાલ્વ / સેક્શન માટે ટ્રેફલોન-૫ ની જરૂર જથ્થાની ગણતરી કરો. દા.ત. શેરડીમાં સેક્શનમાં ૨.૨ મીટર જોડીયા હાર પદ્ધતિ માટે ૧૬ મિ.મી X ૪ એલપીએકચ X ૬૦ સે.મી. નો ઉપયોગ કરેલ હોય તો ૧૦ ઘન મીટર પ્રવાહમાં ૧ વાલ્વથી ૩૩૦૦ ઘનમીટર / વાલ્વ જેમં ઈનલાઈનની લંબાઈ ૧૫૦૦ મીટર થાય અને ડ્રિપર આઉટલેટની સંખ્યા ૨૫૦૦ થાય. આઉટલેટની સંખ્યા લગભગ ૨૫૦૦ માટે ટ્રેફલોન-૫ નો જથ્થો ૨૫૦૦ / ૨૦ = ૧૨૫ સીસી ને ૧૦ મિનિટમાં એટલે કે ૧૨.૫ સીસી / મિનિટ. જો પંપ ૧ લિ./મી. ખેંચે તો ૧૦ લિટર પાણીમં ૧૨.૫ સીસીનું ટ્રાફલાન દ્ધાવણ બનાવવુ અને એ પુરા જથ્થાને ૧૦ મિનિટમાં પુરો પાડવો.
  2. સિસ્ટમ ચાલુ કરી ૧૫ મિનિટ સુધી ચલાવો અને ખાતેરમાં કાદવ – કીચડ ના દેખાય તે જુઓ. (જો ત્યાં કાદવ – કીચડ હોય તો ભીનાશનું પ્રમાણ ઊંચું હશે જે ટ્રાફલાન ટ્રીટમેન્ટ માટે અનુકૂળ નથી.)
  3. આખા પ્લોટની જોઈને ચકાસણી કરો અને જો લેટરલમાં લીકેજ થતું હોય તો તેને દૂર કરો.
  4. જમીનની ભીનાશ પાણી ગ્રહણ કરવાની ક્ષમતા કરતાં ઓછી હોવી જોઈએ. વરસાદ દરમ્યાન અથવા વરસાદ પછી તુરત જ અથવા પિયત દરમ્યાન ટ્રીટમેન્ટ બાદ સિસ્ટમ બંધ કરી દો અને ૨૪ કલાક પછી જ પિયત આપવાનું ચાલુ કરો. (તે પહેલા પિયત આપવાથી ટ્રીટમેન્ટ અસરકારક રહેશે નહિં.)

(૪) મોસમ મુજબ સંકેલવા, સંગ્રહ અને ફરી પાથરતી વખતે રાખવાની જરૂરી જાળવણી :

  1. સિસ્ટમ સંકેલતા પહેલાં એકાંતરે કરવામાં આવતી જાળવણી કરો . (જો કેમિગેશનની જરૂર જણાય તો તે પણ કરવી.)
  2. એન્ડ પ્લગ ખોલી એન્ડ પ્લગવાળા છેડેથી સ્ટાર્ટ કનેકટર સુધી લેટરલને વાઈન્ડર થી ભેગી કરો અને દરેક લાઈનની અલગ અલગ રીલ બનાવો.
  3. સંકેલેલ રીલ સબમેઈનથી દુર કરવી નહીં અને જો આંતરખેડ કરવાની હોય તો સબમેઈન ઉપર ગોઠવવી. જો પાક ફેરબદલી કરવાની હોય અથવા ચોમાસું હોય તો પ્લેઈન લેટરલ પાસે સ્ટાર્ટ કનેકટરથી અલગ કરવી અને સબમેઈનનાના લેટરલના ખુલ્લા છેડાને એન્ડ પ્લગથી બંધ કરો જેથી માટી સબમેઈનમાં ન ઘુસી શકે.
  4. લેટરલ બંડલમાં વાંસ પરોવી ઘોડી પર બંડલ ખુલ્લી સ્થિતિમાં રાખવા જેથી ઉંદરથી થતુ નુકશાન અટકાવી શકાય.
  5. સિસ્ટમને ફરિથી ચાલુ કરવા પ્રેશર ટેસ્ટ કરો અને સબમેઈન તથા પરમેનન્ટ ફીટ કરેલ લેટરલનાં એન્ડ પ્લગ ખોલી ફલશ કરો.
  6. નંબર પ્રમાણે લેટરલનાં રીલ કરેલ બંડલ્ને લાંબુ કરો. ઉપર લાગેલી સૂકી માટીને ખંખેરવા માટે સારી રીતે હલાવવા.
  7. લેટરલનો એન્ડ પ્લગ ખોલી ડ્રિપર લાઈનને ફરીથી જોડી સિસ્ટમ ચાલુ કરો અને કાર્યનું નિરીક્ષણ કરો.
  8. ફલશિંગ અને રોજની સંભાળ ચાલુ રાખો.
  9. જો ડ્રિપર બંધ જણાય તો સિસ્ટમને તેના કાર્યની સ્થિતિમાં લાવી કેમિગેશન ટ્રીટમેન્ટ આપો.

કેમિકલ સારવાર પસંદ કરવા માટેનું માર્ગદર્શન :

  1. જ્યારે દ્ધાવ્ય ક્ષાર વધુ હોય ત્યારે એસિડ ટ્રીટમેન્ટ ખુબ જ અસરકારક નીવડે છે.
  2. જ્યારે જૈવિક ઘટકો વધુ હોય ત્યારે શેવાળ અટકાવવા અને જૈવિક ઘટકોલો નાશ કરવા ક્લોરિનેશન ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે.
  3. જ્યારે દ્ધાવાય ક્ષાર અને જૈવિક ઘટકોનું પ્રમાણ આમ બન્ને વધુ હોય ત્યારે ક્ષાર માટે એસિડ ટ્રીટમેન્ટ પછી ક્ષાર એકઠો થતો અટકાવવા ક્લોરિનેશન ટ્રીટમેન્ટ આપો.
  4. જયારે આયર્ન (લોહ), સલ્ફર અને મેંગેનીઝના અવશેષો ૦.૫ પીપીએમ થી વધુ હોય ત્યારે ક્લોરિનેશનનો ઉપયોગ કરી આવા ઘટકોનું ઓક્સિડેશન કરવું જેથી તે ટેન્કને તળિયે બેસી જશે જ ફિલ્ટરેશનમાં મદદરૂપ થશે.
  5. જ્યારે પાણીનો સ્ત્રોત ખુલ્લો કુવો હોય અને તેમાંથી શેવાળ અને જૈવિક અશુદ્ધિઓ દુર કરવા માટે કોપર સલ્ફેટ અને માછલીના ઉપયોગનો માર્ગ અપનાવવો.
  6. જો રાસાયણીક અને જૈવિક ઘટકો વધુ હોય તો કેમિકલ અને ક્લોરિનેશન ટ્રીટમેન્ટ કોઠામાં દર્શાવ્યા મુજબ આપો.

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા,ડૉ. એમ. વી. પટેલ,ડૉ. એન. વી. સોની -એગ્રોનોમી વિભાગ,બં, અ. કૃષિ મહાવિદ્યાલય, ,આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ,

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate