શિર:શૂલના મુખ્ય બે પ્રકાર છે.
સ્વતંત્ર રીતે થતું શિર:શૂલ કે, જેને પોતાના સ્વતંત્ર કારણો સંપ્રાપ્લિ (ઈટીયોલોજી) હોય છે. આયુર્વેદમાં સ્વતંત્રરીતે થતાં શિર:શૂલ ૧૧ પ્રકારના કહ્યા છે. આમાંના એક પિત્તજ શિર:શૂલ વિષે અહીં વાત કરવા માંગીએ છીએ. ગ્રીષ્મ ઋતુના તાપ ગરમીથી શરીર અને માથામાં પિત્ત વધવાથી શિર:શૂલ શરૃ થાય છે. ઉનાળાના તાપ ઉપરાંત પિત્ત વિકૃત થાય છે એવા આહારવિહારનું સેવન કરવાથી પિત્તપ્રકોપ થઇ શિર:શૂલ થાય છે. તીખા, ખાટા, ખારા, ઉષ્ણ, બળતરા કરનાર રાઇ વગેરે તીક્ષ્ણ પદાર્થો લાંબો સમય લેવાથી ક્રોધ કરવાથી અતિ ઉપવાસથી વધારે પડતું જાતીય સુખ ભોગવવાથી, અતિ શરાબ પીવાથી, દહીં, મસાલા, અડદ, અળસી વગેરેનો વિશેષ ઉપયોગ કરવા વગેરેથી પિત્તપ્રકોપ થઇ પિત્તજ શિર:શૂલ ઉત્પન્ન કરે છે. જેને ખાટા, ખારા, તીખા પદાર્થો ખાવાની રુચી વધારે પડતી હોય એને સૂર્યનો તાપ વધારે નડે છે. પિત્તપ્રકૃતિવાળી વ્યક્તિને ગ્રીષ્મની ગરમી સહન થતી નથી. આવી વ્યક્તિ તાપમાં બહાર નીકળે કે તુરત જ માથાનો દુ:ખાવો થવાની દહેશત રહે છે. આ શિર:શૂલમાં માથું સખત દુ:ખે, શિર અને કપાળ ગરમ લાગે, અંધારા આવે, મોળ આવે, ક્યારેક પિત્તની ઉલ્ટી થાય, નાક અને નેત્રો બળે, રાત્રે ઠંડા વાતાવરણમાં સારું લાગે, બીપી હાઈ કે લો થાય. પેઈન કીલર દવાથી થોડી વાર માટે સારૃ લાગે છે. શીતળ વાતાવરણ અને પિત્તશામક ઉપચાર અનુકૂળ આવે છે. આ શિર:શૂલની પીડામાંથી કાયમ માટે મુક્ત થવા, તાપમાં બહાર નિકળવું નહીં, ઘર બહાર નીકળવું પડે તો વાતાવરણની ગરમીથી બચવાના ઉપાયો કરવા, અગ્નિ નજીક બેસવું નહીં, પિત્ત વધે તેવા આહારવિહારથી દૂર રહેવું, બહારની ગરમી ઘરમાં પ્રવેશે નહીં તેની કાળજી રાખવી, બારીઓમાં ખસની ટટ્ટીઓ રાખવી અને ટટ્ટીને અવારનવાર પાણી છાંટવું. વાળો અને સુખડ પાણીમાં આશરે છ કલાક પલાળવું પછી પાણીમાંથી વાળો સુખડ બહાર કાઢી વધેલા ઠંડા પાણીથી ન્હાવું. સુગંધીવાળાથી સિધ્ધ કરેલ પાણી પીવા માટે વાપરવું. ગુલકંદ (પ્રવાલપિષ્ટિયુક્ત) એક ચમચી સવાર સાંજ ખાવો.
અહીં આપેલ ઔષધો પથ્ય ભોજન સાથે લેવાથી પિત્તજ શિર:શૂલ મટે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/26/2020