অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શરદપૂનમે દૂધપૌંઆ કેમ ખાવા જોઇએ?

હિન્દુ ધર્મ- શાસ્ત્ર પ્રમાણે આસો વદ પૂનમ એટલે શરદ પૂનમ ગણાય. શરદ ઋતુમાં આવતી પહેલી પૂનમ. આને ‘કૌમુદી વ્રત’ તરીકે પણ ઉજવાય છે. આ દિવસે ચંદ્રમા અને પૃથ્વી સૌથી નીકટ હોય છે.લક્ષ્મીમાં- હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લક્ષ્મી દેવીની આરાધનાનો પણ આ દિવસ છે. એક કથા પ્રમાણે આસો સુદ પૂનમે મા લક્ષ્મી રાત્રે વિહરવા નીકળે છે અને જે લોકો જાગતાં હોય એમના ધરે પગલાં કરે છે, માટે જ લોકો નવરાત્રિ પૂર્વે ઘરનું સફાઈ કામ કરે છે અને પૂનમના દિવસે ચાંદની રાતે, જાગીને, ગીતો ગાઈને હર્ષોલ્લાસથી મા લક્ષ્મીજીનાં રૂમઝુમ પગલાંને આવકારીને ઉજવણી કરે છે. ગુજરાતીઓ તો રાસ અને ગરબાની રમઝટ બોલાવે છે .

કૃષ્ણભગવાન પણ આ દિવસની ઉજવણી ગોપીઓ સાથે રાસ રમીને કરતા. આ બધાનું મહત્વ (વૈજ્ઞાનિક- આયુર્વેદ દૃષ્ટિકોણથી સમજીએ.

શરદઋતુ- આસો અને કારતક એ બે શરદઋતુ છે. આખી દુનિયા કહે છે કે ઋતુઓ ચાર છે, પણ માત્ર આયુર્વેદ કહે છે કે ઋતુઓ પાંચ છે. વર્ષાઋતુમાં વરસાદ અને ભેજ અને ઠંડકને કારણે ઘરમાં અને વાતાવરણમાં વાયરસ, બેક્ટેરિયા, જીવજંતુઓ મોટી માત્રામાં ફરતાં હોય છે. તમે પણ નોંધ્યું જ હશે કે આ વાદળ-છાયા વરસાદી દિવસો પછી સૂર્યનાં કિરણો દેખાતાં ઘરમાં અને બહાર મચ્છર જેવાં જીવજતુંઓ વધારે જોવા મળે છે. ઘરમાં પણ જાળાં વગેરે વધારે થતાં હોય છે, માટે જ શરદઋતુમાં શ્રાદ્ધપક્ષ પૂરો થતાંની સાથે નવરાત્રિના આગમનને કારણે ઘરે ઘરે દુર્ગામા , ગોરીમાં, કાલિસા, લક્ષ્મીમાના સ્વાગત રૂપે સફાઈ કામ શરૂ થાય છે. જે તમારા સ્વાસ્થય માટે અતિ મહત્વનું છે. સ્વછતા વધવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ટકી રહે છે, જે તમને માંદગીથી દૂર રાખે છે.

વિસર્ગકાળ: આ વિસર્ગકાળ એટલે સૂર્યનું દક્ષિણ તરફ જવું એટલે દક્ષિણાયન પણ ગણાય છે, જે mid july to mid junuary (શ્રાવણથી પોષ મહિનો) દરમિયાનનો સમય છે.

આ સમયે ચંદ્ર શક્તિશાળી હોય છે, એટલે પૃથ્વી પર ઠંડક રહે છે અને મનુષ્યને શક્તિ પ્રદાન કરે છે. વળી તે બુદ્ધિને પ્રદીપ્ત કરે છે. રસાયન અને વાજીકરણ શક્તિ વધારે છે.

શરદ ઋતુચર્યા- Do’s & Don’ts

માનવશરીર ચોમાસામાં વરસાદના ટાઢોડાથી ટેવાઈ ગયું હોય છે અને અચાનક સૂર્યનાં ઉષ્ણ કિરણો શરીર પર પડતાં જ શરીર-મન બેચેન થઈ ઊઠે છે. પિત્તપ્રકોપને કારણે દિવસે ગરમી લાગે અને રાત્રે ઠંડી લાગે. આવી ઋતુમાં શરીરના દોષોનું સંતુલન અવારનવાર ખળભળી ઊઠે છે અને જ્વર, મેલેરિયા,શ્વાસ, શરદી, ખાંસી જેવી બીમારીઓનાં લક્ષણો દેખા દે છે. આ ઋતુનો મુખ્ય દોષ પિત્ત છે અને પિત્ત બગડતાં અન્ય દોષો પણ બગડે છે.

શ્રાદ્ધ પક્ષ

પિતૃતર્પણના દિવસો એ શ્રાદ્ધ પક્ષ ગણાય છે. એમાં ખીર કે દૂધ પાક ખાસ ખવાય છે. આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે શરીરનું પિત્ત સંતુલિત રહે.

શતમ જીવ શરદ

આજના ઘણા બધા યુવાનોએ આ ઉક્તિ નહીં સાંભળી હોય કે તેમને કદાચ નહીં સમજાઈ હોય, પણ બધી ઋતુઓમાં દોષો બગડી શકે. પરિણામે શરીર પણ બગડે, પણ શરદ ઋતુમાં બગડેલા દોષો વધારે અને લાંબી (માંદગી લાવી શકે છે અને પહેલાંના જમાનામાં ઔષધો અને સારવાર ઓછી હોવાને કારણે વડીલો એવા આશીર્વાદ આપતાં. શતમ જીવ શરદ:  તું સો શરદ (ઋતુ) જીવ.

Do’s:

દૂધ પૌંઆ - શરદપૂનમની રાત્રે દૂધપૌંઆ ખાવાનું ગુજરાતમાં તો પ્રચલિત છે, એનું રહસ્ય તમારા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે

પૌંઆ

પૌંઆને સંસ્કૃતમાં પ્રથુકા કહે છે. એનાં ગુણો-ગુરુ, સ્નિગ્ધ, બૃંહણ, વિષ્ટભકારી (કબજિયાત કરનાર) છે. મારા ઘણા ગેસ- એસિડીટીના પેશન્ટને હું પૌંઆ ખાવાની ના પાડું છું. પૌંઆનો શેકેલો કે તળેલો ચેવડો નહીં, બટાકા પૌંઆ પણ નહીં.’ ત્યારે એ તરત બોલી ઉઠે છે કે હા, બંને મને એ ખૂબ ભાવે છે, પણ એ ખાધા પછી થોડીવારમાં માથું ચઢી જાય છે.

પૌંઆ અને મમરા બંને ચોખામાંથી બનતા હોવા છતાં મમરા સુપાચ્ય છે, જ્યારે પૌંઆનું પાચન સરળતાથી થતું નથી અને તેથી પાચન સમયે વાયુ અને પિત્ત વધી જાય છે.દૂધ- દૂધ મધુર, શીત, મૃદુ , સ્નિગ્ધા, ગરુ અને મંદગુણ કરાવે છે. એના મધુર ગુણને કારણે તે અમૃત સમાન છે, જે ચંદ્રનાં કિરણોને અવશોષિત કરે છે, શરીરનું ઓજસ વધારે છે. રસાયન છે

દૂધપૌંઆનાં ગુણ: પૌંઆ પિત્ત વધારનાર હોવા છતાં દૂધ-પૌંઆનું Combination પરમ પિત્તશામક છે, સાકર અને ઇલાયચી મિશ્રિત દૂધપૌંઆ ખૂબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય આપનાર છે.

સાવધાન:

દૂધપૌંઆમાં કેસર ન નાખવું. કેસરનાં બીજાં અનેક ગુણો છે પણ તે ઉષ્ણ હોવાને કારણે દૂધપૌંઆના ગુણોને બદલી નાખે છે. પહેલાં- ઉકાળેલા દૂધમાં પૌંઆ ઉમેરવા. એમાં ઈલાયચી પાવડર નાખીને સફેદ સુતરાઉ કપડું ઢાંકીને તપેલી પૂનમની સાંજથી ધાબા પર મૂકી દેવાય. પૂનમની ચાંદનીમાં ઠંડા થયેલા તે દૂધ પૌંઆની સહ-કુટુંબ અને મિત્રો અગાશીમાં બેસીને મિજબાની કરતાં. હર્ષોલ્લાસથી માની આરાધનાનાં ભજન, ગરબા, ગીતો ગવાતાં. મિત્રોની સંગત, આનંદ એ પિત્તશામક છે શાંતિ આપનાર છે

પ્રશમ- પરમમ પથ્યાનામ અર્યાત શાંતિ- Peace એ અતિ, હિતકારક છે સ્વાસ્થ માટે માટે ખાસ.

Don’ts

દહીં, તળેલો ખોરાક, સૂર્યનો તડકો, દારૂનું સેવન, ઝાકળ, ભારે ખોરાક દિવસે ઊંઘવું એ શરદઋતુમાં વર્જ્ય છે.

સ્ત્રોત વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/14/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate