অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શું રોગ થતાં અટકાવવા શક્ય છે?

‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર' આરોગ્ય વિષયક બહુ પ્રચલિત સૂત્ર છે. જીવનનાં કોઇપણ તબક્કે બિમારી માત્ર શારીરિક જ નહીં પરંતુ, માનસિક, આર્થિક અને સામાજિક સમસ્યાનું કારણ બને છે. આથી જ તો ‘પહેલું સુખ તે જાતે નરવા' જેવા સૂત્રને સહુ સ્વીકારે છે. આયુર્વેદનો મૂળભૂત ઉદેશ્ય પ્રાણીમાત્રને રોગથી બચાવી નિરોગી બનાવવા પૂરતો સિમિત નથી. આયુર્વેદ નિરોગી વ્યક્તિની સ્વસ્થતા શી રીતે જાળવવી શક્ય છે, તે વિશે ખૂબ જ સરળ અને ઊંડાણપૂર્વક ચર્ચે છે.

પ્રિવેન્શન – આયુર્વેદના દ્રષ્ટિકોણથી

આયુર્વેદમાં રોગ સામે રક્ષણ વિશે જે પણ સૂચનો આપવામાં આવે છે. તે સાદા અને સરળતાથી સમજી શકાય તેવા છે. દરેક સૂચનોના કેન્દ્રમાં ‘સ્વાસ્થ્ય' છે. પ્રિવેન્શન સદંર્ભે ‘રોગને' કેન્દ્રમાં રાખવામાં આવતા નથી. સ્વાભાવિક છે કે રોગોની સંખ્યા અનેક છે, ઘણા નાના-મોટા કારણોને લઈને રોગ જન્મે છે.

આમાંના કેટલાંક શરીરમાં અંદર થતાં ફિજીયોલોજીકલ ફંક્શનન્સમાં થતી ખોટને પરિણામે, તો ક્યારેક બહારના કારણો જેવાકે જીવાણું, પ્રતિકૂળ સંજોગોની શરીર પર થતી આડઅસર હોય તો વળી ક્યારેક આકસ્મિક કુદરતી કારણોથી જેમકે વધુ તાપ, વરસાદમાં પલળવું, ઠંડી હવા લાગવી, સાપ-વિંછી-કીટાણુનાં ડંખથી કે પછી પડવાથી, વાગવાથી કે પછી અકસ્માતથી થતી ઈજાઓથી થતી બીમારીઓ હોય, આ બધા ઉપરાંત સરકતી રેતીની માફક વ્યતીત થતાં કાળના પરિણામે શરીરમાં ઉંમરને કારણે થતાં ફેરફારથી થતી બિમારીઓ. આવી અનેક બિમારીઓના અનેક કારણોને અલગ-અલગ તારવી અને સામનો કરવાને બદલે, આયુર્વેદ ખૂબ સરળ માર્ગ બતાવે છે.

રોગ થવાનું આશ્રયસ્થાન શરીર છે. અહીં શરીર લખું છું, પરંતુ શરીર, મન, આત્મા અને ઇન્દ્રિયોનાં સમૂહને સાથે ઉલ્લેખું છુ. આથી જો શરીરને બને તેટલી મજબૂતી આપવામાં આવે કે જેથી આંતરિક-બહારના રોગજનક કારણોનો સામનો કરે તેવું તાકાતવાન બને. જીવન ભરપૂર જીવવું હોય તો, વાયુ, પિત્ત અને કફની શરીર માટેની ઉપયોગી ક્રિયાઓ યોગ્ય રીતે થાય તથા શરીરની બંધારણરૂપ બધી રસ, રક્ત, માંસ વગેરે ધાતુઓની યોગ્યતા જળવાઈ રહે તે બાબતને કેન્દ્રમાં રાખી ઋતુના બદલાવ વગેરે કુદરતી કારણો અને શરીરને અસરકારક બાબતો જેવી કે કયા પ્રદેશમાં, કેવી આબોહવા-વાતાવરણમાં, ઉંમરની કઈ અવસ્થા તથા પોતાની કેવી પ્રકૃતિ છે તેવી બાબતોને ધ્યાનમાં લઇ જીવન પદ્ધતિ અપનાવવા સૂચવવામાં આવ્યું છે.

આમ આયુર્વેદનું પ્રિવેન્શન રોગપરક નહીં પરંતુ આરોગ્યપરક છે.

સદવૃત્ત-આચારથી આરોગ્ય !

આયુર્વેદ જ્યારે રોગ થવાની સંભાવના ઘટે તથા રોગનો સામનો કરવાની શરીરની સક્ષમતા જળવાય તે માટે દૈનિક જીવન પદ્ધતિ તથા બદલાતી ઋતુઓમાં અપનાવવા લાયક જીવન પદ્ધતિ વિશે જણાવવાની સાથે સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ એવા માનસિક અને ચૈતસિક ક્ષમતાને જાળવવા સૂચવે છે. સામાજિક જીવનની શરીર તથા મન પર થતી અસરને ધ્યાનમાં રાખીને સ્વયંને સમગ્રનો અંશ સમજી અને સમગ્રતાને અનુરૂપ જીવન જીવવા માટેના સૂચનો કરે છે. આ માટે સદવૃત્ત અંતર્ગત માર્ગદર્શન કરવામાં આવ્યું છે. સદવૃત્ત એ કોઈ ધર્મને કેન્દ્રમાં રાખી અને કરાયેલા સૂચનો નથી. પરંતુ રોજબરોજનાં જીવનને અસર માત્ર શરીર પુરતી માર્યાદિત ન રહેતા તેની મન અને આચરણ પર પણ થતી અસરને ધ્યાનમાં લઈને આચરણ વિશે જાગ્રતતા જાળવવા Description of right conduct – સદવૃત્ત પર ભાર મૂક્યો છે. આજના સમયાભાવ, સ્ટ્રેસ, ભૌતિક સુખો પાછળની આંધળી દોડમાં મશીનનો ગુલામ બનેલો માણસ આ બધા સાદા સૂચનોને ભૂલી બેઠો છે. પરિણામે ‘લાઈફ સ્ટાઈલ ડિઝીસીસ' જેવા નવા રોગો જન્મ્યા છે.

અનુભવ સિદ્ધ

થાળીમાં ખાવા માટે શું છે તે તો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. પરંતુ થાળી સામે ટી.વી., કોમ્પયુટ કે મોબાઈલનો સ્ક્રીન ન હોય તે વધુ મહત્વપૂર્ણ છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate