অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સપ્તાહમાં માત્ર બે દિવસની કસરતથી તંદુરસ્તી જાળવો

સપ્તાહમાં માત્ર બે દિવસની કસરતથી તંદુરસ્તી જાળવો

જીવનની એક વાસ્તવિકતા એ છે કે જે વસ્તુ આપણને ના ગમતી કે ના ભાવતી હોય તે વસ્તુ જ આપણા માટે લાભદાયી હોય છે. ભલે પછી એ સખત પરિશ્રમ હોય પછી કડવી દવાઓના ઘૂંટડા પીવાના હોય. કસરતનું પણ એવું જ છે, આરોગ્ય માટે સૌથી મહત્વની અને કોઈ પણ પ્રકારના ખર્ચ વગર માત્ર થોડો સમય ફાળવીને કરી શકાતી કસરતનું નામ સાંભળીને જ મોટાભાગના લોકોના ભવાં ચઢી જાય છે. બેઠાડું જીવનશૈલી, જંક ફૂડ, કામનો તણાવ, સ્પર્ધાત્મક માહોલ વગેરેને કારણે શરીર જાણે અજાણ્યે તણાવનો ભોગ બની છેવટે નાની મોટી બીમારીઓના સકંજામાં સપડાય છે. તંદુરસ્ત અને સુડોળ રહેવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. યુનિવર્સિટી ઓફ સિડની દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં આશરે 63,000 લોકોના આરોગ્ય અને આદતોનું વિશ્લેષણ કરાયું હતું. અભ્યાસ બાદ નિષ્ણાતો એવા તારણ પર આવ્યા હતાં કે સપ્તાહમાં ઓછામાં ઓછા એક કે બે વાર કસરત કરવાથી કેન્સર કે હૃદયને લગતી બીમારીથી મૃત્યુ થવાનું જોખમ ઘટે છે.
અભ્યાસના લેખક ઈમેન્યુઅલ સ્ટેમેટેકિસના જણાવ્યાં અનુસાર સપ્તાહમાં એક કે બે વખત શારીરિક રીતે સક્રિય રહેવાથી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે તે બાબત કસરત પ્રત્યે અણગમો ધરાવતા લોકોને પણ કસરત કરવા પ્રેરશે. કસરત શરીરમાં ચરબીનાં ચયાપચય ઉપર અસર કરે છે કે જેથી ધમનીમાં ચરબી જમા થવાની ઝડપ ધીમી પડી જાય છે, પરિણામે હૃદયરોગ થવાની અને હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા ઘટે છે. અપ્રવૃત્તિશીલ હોવાને કારણે મોતને ભેટતાં લોકોમાં સૌથી મોટું કારણ સ્મોકિંગ અને ત્યાર પછીના ક્રમે બેઠાડુ જીવન જીવતા લોકોનો નંબર આવે છે. અગાઉના ચાર મોટા રિસર્ચમાં પણ કહેવાયું છે કે, ટોચની પાંચ બીમારીઓનું કારણ કસરતનો અભાવ જ છે જેમાં હાર્ટની સમસ્યા, સ્ટ્રોક, ડાયાબિટીસ, બ્રેસ્ટ કેન્સર અને કોલોન કેન્સર, આ બીમારીઓને કારણે વર્ષ ૨૦૧૩માં વૈશ્વિક ૬૭.૫ બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો. અભ્યાસમાં કહેવાયું છે કે, વિકાસશીલ તથા વિકસિત દેશોમાં જ કસરતના અભાવે મોતના પ્રમાણમાં વધારો થાયો છે પરંતુ ગરીબ દેશોમાં મોતના પ્રમાણમાં વધારો છે તેના કારણો પણ જુદા છે. કસરતને કારણે ચિંતા અને હતાશા (ડિપ્રેશન) માંથી મહદ્ અંશે મુક્તિ મળે છે.
અગાઉ ક્યારેય કસરત કરવાનું કષ્ટ ના લીધું હોય તો શરૂઆત ધીમેથી કરશો. કોઈપણ પ્રકારની કસરત કરો તેમાં ધીમે ધીમે વધારો કરો. તમે માનસિક રીતે તૈયાર થાવ નક્કી થાય ત્યારે જ તેમાં આગળ વધજો. દેખાદેખીથી કે કોઈના કહેવા માત્રથી કસરત શરૂના કરશો. તમારા શરીરને અનુકૂળ હોય તેવી હળવી કસરતથી શરૂઆત કરો. અનેક અભ્યાસોના તારણ મુજબ બેઠાડુ જિંદગીને માનસિક હતાશા સાથે સીધો સંબંધ છે. આજકાલ જે હદે માનસિક હતાશા અને અન્ય તકલીફો વધી રહી છે એ જોતાં, આ અભ્યાસના તારણો ઘણું અગત્યનું માર્ગદર્શન આપે છે.

સ્ત્રોત:  : નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/31/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate