অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વૈશ્વિક આરોગ્ય

વૈશ્વિક આરોગ્ય

વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વસ્તીનું આરોગ્ય દર્શાવે છે અને તે વ્યક્તિગત દેશોના પરિપ્રેક્ષ્ય કે ચિંતાની મર્યાદાથી પર છે. દેશની સીમાઓથી બહારની તેમજ વૈશ્વિક રાજકિય અને આર્થિક અસરો ધરાવતી આરોગ્ય સમસ્યાઓ પર ઘણીવાર ભાર મૂકવામાં આવે છે.તેની વ્યાખ્યામાં ‘વિશ્વના તમામ લોકો માટે આરોગ્યમાં સુધારો કરવા અને આરોગ્યમાં સમાનતા હાંસલ કરવાની પ્રાથમિકતા આપતા ક્ષેત્રના અભ્યાસ, સંશોધન અને કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે.’ તેથી, વૈશ્વિક આરોગ્ય એટલે રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વગર વિશ્વભરમાં આરોગ્યમાં સુધારો, અસમાનતામાં ઘટાડો અને વૈશ્વિક જોખમો સામે સુરક્ષા છે. માનસિક આરોગ્યના ક્ષેત્રને આ સિદ્ધાંતો લાગુ કરવામાં આવે ત્યારે તે વૈશ્વિક માનસિક આરોગ્ય તરીકે ઓળખાય છે.

આરોગ્ય માટેની અગ્રણી આંતરરાષ્ટ્રીય એજન્સી વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ (WHO)) છે. વૈશ્વિક આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી બીજી મહત્ત્વની એજન્સીઓમાં યુનિસેફ (UNICEF), વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબ્લ્યુએફપી (WFP)) અને વિશ્વ બેંકનો સમાવેશ થાય છે. વૈશ્વિક આરોગ્યમાં સુધારા માટેની મહત્વની પહેલ સંયુક્ત રાષ્ટ્રસંઘના મિલેનિયમ ઘોષણપત્ર છે અને વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત મિલેનિયમ વિકાસ ઉદ્દેશો છે.

ઇતિહાસ

1948માં, નવા રચવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશો વિશ્વ આરોગ્ય સંસ્થાની રચના કરવા એકઠા થયા હતા. 1947 અને 1948માં ઇજિપ્તમાં 20,000 લોકોનો જીવ લેનાર કોલેરાના વ્યાપક રોગચાળાથી આંતરરાષ્ટ્રીય સમુદાયને આ દિશામાં પગલાં લેવાનું ઉત્તેજન મળ્યું હતું.

આ પછીથી આંતરરાષ્ટ્રીય આરોગ્ય સમુદાયની સૌથી મોટી સિદ્ધિઓ પૈકીની એક સિદ્ધિ શીતળાની નાબૂદી છે. આ ચેપનો છેલ્લો કુદરતી કિસ્સો 1977માં નોંધાયો હતો. પરંતું વિચિત્ર વાત એ છે કે શીતળાની નાબૂદીમાં સફળતાથી વધુ પડતા આત્મવિશ્વાસનો જન્મ થયો હતો તેમજ તે પછીથી મલેરિયા અને બીજી બીમારીઓને નાબૂદ કરવાના પ્રયાસો અસરકારક રહ્યા નથી. હકીકતમાં, હવે વૈશ્વિક આરોગ્ય સમુદાયમાં એવી ચર્ચા થઈ રહી છે કે રોગ નાબૂદી ઝુંબેશને પડતી મૂકવી જોઇએ અને તેની જગ્યાએ ઓછા ખર્ચાળ અને કદાચ વધુ અસરકારક પ્રાથમિક આરોગ્ય અને રોગનિયંત્રણ કાર્યક્રમનો અમલ કરવો જોઇએ કે નહીં.

શિસ્તહેતુક દ્રષ્ટિકોણ

વૈશ્વિક આરોગ્ય એવું સંશોધન ક્ષેત્ર છે કે જેમાં મેડિકલ અને સમાજવિજ્ઞાનની વિવિધ શાખાઓનો સમાવેશ થાય છે, જેમાં વસ્તીવિષયક વૈજ્ઞાનિક અભ્યાસ, અર્થશાસ્ત્ર, રોગચાળાનું શાસ્ત્ર, રાજકીય અર્થતંત્ર અને સમાજશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ વિવિધ શિસ્તહેતુક દ્રષ્ટીકોણથી તેમાં આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં આરોગ્યની નિર્ણાયક બાબતો અને વિતરણ પર ભાર મૂકવામાં આવે છે.

રોગશાસ્ત્રનું પરિપ્રેક્ષ્ય વૈશ્વિક આરોગ્યની મુખ્ય સમસ્યાઓને અલગ તારવે છે. તબીબી પરિપ્રેક્ષ્યમાં મુખ્ય બીમારીઓના રોગવિજ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે અને તે બીમારીઓને અટકાવવા, નિદાન કરવું અને આ બીમારીઓની સારવારને પ્રોત્સાહન આપે છે.

આર્થિક પરિપ્રેક્ષ્યમાં વ્યક્તિ અને વસ્તી બંનેના આરોગ્યની ફાળવણી માટેના ખર્ચ-અસરકારકતા અને ખર્ચલાભના અભિગમો પર ભાર મૂકવામાં આવે છે. એકંદર વિશ્લેષણ એટલે કે વિવિધ સરકારો અને એન.જી.ઓ (N.G.O)ના પરિપ્રેક્ષ્યમાં આરોગ્ય ક્ષેત્રના વિશ્લેષણ પર ભાર મૂકવામાં આવે છે. ખર્ચ-અસરકારક વિશ્લેષણમાં આરોગ્ય માટેનું રોકાણ આર્થિક પરિપ્રેક્ષ્યમાં યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવા આ દરમિયાનગીરીના ખર્ચ અને આરોગ્ય પરની તેની અસરોની સરખામણી કરવામાં આવે છે. સ્વતંત્ર દરમિયાનગીરીઓ અને પરસ્પરની વિશિષ્ઠ દરમિયાનગીરીઓ વચ્ચેની ભેદરેખા પાડવી પણ જરૂરી છે. સ્વતંત્ર દરમિયાનગીરીઓમાં ખર્ચ-અસરકારતાનો સરેરાશ ગુણોત્તર પૂરતો છે. જોકે, જ્યારે પરસ્પરની વિશિષ્ઠ દરમિયાનગીરીઓની સરખામણી કરવામાં આવે ત્યારે ખર્ચ-અસરકારતાનો વૃદ્ધિગત ગુણોત્તરનો ઉપયોગ કરવો જરૂરી છે. બીજી સરખામણીઓ ઉપલબ્ધ સંસાધનોમાંથી આરોગ્ય સંભાળની મહત્તમ અસરો કેવી રીતે હાંસલ કરવી તે સૂચવે છે.

આ પરિપ્રેક્ષ્યમાં વ્યક્તિગત આરોગ્ય વિશ્લેષણમાં આરોગ્ય સેવાઓની માંગ અને પુરવઠા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. આરોગ્ય સંભાળની માંગ આરોગ્ય માટેની સામાન્ય માંગમાંથી ઊભી થાય છે. આરોગ્ય સંભાળની માંગ સામાન્ય રીતે “આરોગ્ય મૂડી”ના વિશાળ ભંડાર હાંસલ કરવાની ઉપભોક્તાની જરૂરિયાત પર આધારિત છે. આરોગ્ય મૂડીનો સીમાંત ખર્ચ તેનાથી ઉદભવતા સીમાંત લાભની બરાબર (એમસી=એમબી (MC=MB)) હોય ત્યારે આરોગ્યમાં રોકાણનું ઇષ્ટત્તમ સ્તર હાંસલ થયું તેમ કહેવાય છે. સમય પસાર થવાની સાથે, અમુક દર δ એ આરોગ્યમાં ઘસારો થાય છે. અર્થતંત્રનો સામાન્ય વ્યાજદર આર (r) દ્રારા સૂચિત કરવામાં આવે છે. આરોગ્ય સેવાના પુરવઠા દરમિયાન તે સેવા પૂરી પાડનારને પ્રોત્સાહન, બજારના સર્જન, બજાર માળખુ તેમજ આરોગ્ય જોગવાઇમાં માહિતીની સમાનતા, એનજીઓ (NGO) અને સરકારોની ભૂમિકા સંબંધિત મુદ્દા પર ભાર મૂકવામાં આવે છે.

બીજા નીતિમત્તાના અભિગમમાં વહેંચણીની બાબતો પર ભાર મૂકવામાં આવે છે. એ.આર જોન્સન (1986)એ શોધેલો રૂલ ઓફ રેસ્ક્યૂ વહેંચણીના મુદ્દાનો ઉકેલ લાવવાનો એક માર્ગ છે. આ નિયમ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે ‘જોખમમાં મૂકાયેલા જીવનને શક્ય હોય ત્યાં બચાવવો એક સહજ ફરજ છે.’[૮] જોહન રાઉલ્સના નિષ્પક્ષ ન્યાય અંગેના વિચારો વહેંચણી અંગેના બંધનકર્તા પાસાંનો ઉલ્લેખ કરે છે. અમર્ત્ય સેને[૯] આરોગ્ય સમાનતાના મુખ્ય પાસાંનો ઉકેલ લાવવા આ વિચારોનો ઉપયોગ કર્યો છે. જૈવનૈતિકશાસ્ત્રના સંશોધનમાં[૧૦] ન્યાયની આંતરરાષ્ટ્રીય જવાબદારીનું ત્રણ વ્યાપક વર્ગીકૃત ક્ષેત્રોમાં મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં: (1) આરોગ્યમાં આંતરરાષ્ટ્રીય અસમાનતા ક્યારે ગેરવાજબી છે?(2) આરોગ્ય અંગે આંતરરાષ્ટ્રીય અસમાનતા ક્યાંથી ઉદભવે છે?; (3)આપણે જો આરોગ્યની જરૂરિયાતને પૂરી જ ન કરી શકતા હોય તો તેની જરૂરિયાતને ન્યાયપૂર્ણ રીતે કેવી રીતે હાંસલ કરી શકીએ?

રાજકીય અભિગમમાં વૈશ્વિક આરોગ્યને લાગુ પડાયેલી રાજકીય અર્થતંત્રની બાબતો પર પણ ભાર મૂકવામાં આવે છે. મૂળમાં રાજકીય અર્થતંત્ર શબ્દનો ઉપયોગ ઉત્પાદન, ખરીદી અને વેચાણ તેમજ તેમનો કાયદો, રિવાજ અને સરકાર સાથેના સંબંધોના અભ્યાસ માટે થતો હતો. નૈતિક ફિલસૂફી મૂળથી વાત કરીએ તો (ઉદાહરણ તરીકે એડમ સ્મિથ યુનિવર્સિટી ઓફ ગ્લાસગોના નૈતિક ફિસલૂફીના પ્રોફેસર હતા), દેશના અર્થતંત્રો- રાજકીય, અને તેથી રાજકીય અર્થતંત્ર- કેવી રીતે વસ્તીના અંકેદર આરોગ્ય તારણોને અસર કરે છે તેના અભ્યાસને આરોગ્યનું રાજકીય અર્થતંત્ર કહેવાય છે.

માપણી

વૈશ્વિક આરોગ્યનું વિશ્લેષણ સામાન્ય રીતે આરોગ્ય બોજની માપણી કેવી રીતે કરવી તેના પર આધાર રાખે છે. માપ કાઢવાના કેટલાંક પગલાં છે, જેમાં ડીએએલવાય (DALY), ક્યુએએલવાય (QALY)અને મૃત્યુદરના માપનો સમાવેશ થાય છે. પગલાંઓની પસંદગી વિવાદાસ્પદ બની શકે છે અને તેમાં વ્યવહારુ અને નૈતિક પાસાંનો સમાવેશ થાય છે

આયુ સંભાવના

આયુની સંભાવના ચોક્કસ વસ્તીના સરેરાશ જીવનકાળ (આવરદાની સરેરાશ લંબાઇ)નું આંકડાકિય માપ છે. આ શબ્દ સામાન્ય રીતે નિર્ધારિત માનવ વસ્તી (દેશ, હાલની વય કે બીજા વસ્તી વિષયક તફાવતોને આધારે નિર્ધારિત) માટે મૃત્યુ પહેલા લોકો કેટલી અંદાજિત ઉંમરે પહોંચશે તેનો ઉલ્લેખ કરે છે. આયુની સંભાવના બાકી રહેલા અંદાજિત સમયનો પણ ઉલ્લેખ કરે છે અને તેની ગણતરી કોઇ વય કે કોઇપણ જૂથ માટે કરી શકાય છે.

અસમર્થતા સમાયોજિત જીવન વર્ષો

અસમર્થતા સમાયોજિત જીવન વર્ષ (ડીએએલવાય (DALY)) એક સારાંશરૂપ માપ છે, જેમાં બીમારી, વિકલંગતા અને વસતીના આરોગ્યમાં મૃત્યુદરના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. ડીએએલવાય (DALY) એક એવું આંકડાકિય માપ છે કે જેમાં અસમર્થતા સાથેના જીવનસમય અને કસમયના મૃત્યુદરને કારણે ગુમાવેલા સમયને મિશ્રિત કરવામાં આવે છે. એક ડીએએલવાય (DALY) એટલે ‘તંદુરસ્ત’ જીવનનું ગુમાવેલું એક વર્ષ અને બીમારીનો બોજ ગણી શકાય છે, જે આરોગ્યની હાલની સ્થિતિ તેમજ આદર્શ સ્થિતિ વચ્ચેના તફાવતનો આંકડાકિય અંદાજ હોય છે, આદર્શ સ્થિતિ એટલે દરેક વ્યક્તિ બીમારી અને અસમર્થતાથી મુક્ત રહીને ઘડપણ સુધી જીવે તે સ્થિતિ. ઉદાહરણ તરીકે, બીમારી માટેના ડીએએલવાય (DALY) એટલે વસતીમાં કસમયના મૃત્યુદરને કારણે ગુમાવેલા જીવનના વર્ષો (વાયએલએલ (YLL)) અને આરોગ્ય સ્થિતિના આકસ્મિક કેસો માટે અમસર્થતાથી ગુમાવેલા વર્ષો (વાયએલડી (YLD))નો સરવાળો. એક ડીએએલવાય (DALY) સંપૂર્ણ આરોગ્યની સમકક્ષના એક વર્ષના નુકસાનને રજૂ કરે છે.

ગુણવત્તા સમાયોજિત જીવન વર્ષો

ગુણવત્તા સમાયોજિત જીવન વર્ષો અથવા ક્યૂએએલવાય (QALY) વિતાવેલા જીવનની ગુણવત્તા અને વર્ષ બંનેના સમાવેશ સાથે બીમારીના બોજનું આંકડાકિય માપ કાઢવાની એક પદ્ધતિ છે અને તેનાથી તબીબી સહાયતા કરવામાં મદદ મળે છે. ક્યુએએલવાય (QALY)પદ્ધતિમાં ઉપયોગિતા સ્વાતંત્ર્ય, તટસ્થ જોખમ અને સ્થિર સપ્રમાણ સંતુલિત વર્તણુકની જરૂર પડે છે. ક્યુએએલવાય (QALY) પદ્ધતિમાં અંદાજીત બાકી જીવન અને જીવનની અંદાજિત ગુણવત્તાને એક સંખ્યામાં મિશ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છેઃ જો આરોગ્યપ્રદ આયુની સંભાવનાનું એક વધારાનું વર્ષ એક (વર્ષ)ના મૂલ્ય જેટલું હોય તો ઓછા આરોગ્યપ્રદ આયુની સંભાવનાનું એક વર્ષ એક (વર્ષ)ના મૂલ્ય કરતા ઓછું છે. ક્યુએએલવાય (QALY)ની ગણતરીઓ એવા મૂલ્યના માપ પર આધારિત હોય છે કે જેને લોકો બાકી જીવનના અંદાજિત વર્ષ ગણે છે. આ માપ જુદી જુદી રીતે કાઢી શકાય છેઃ જેમાં આરોગ્યના વૈકલ્પિક દરજ્જા માટેની પસંદગી અંગેના અંદાજને પ્રોત્સાહન આપતી તકનીકો, આરોગ્યના વૈકલ્પિક દરજ્જા માટે નાણાકીય ચુકવણી કરવાની તૈયારીનો નિષ્કર્ષ કાઢતા સર્વેક્ષણ અથવા વિશ્લેષણો અથવા તબીબી દરમિયાનગીરીથી ઊંચી ગુણવત્તાના જીવનકાળમાં વધારો કરી શકાય છે તેવા તમામ સંભવિત જીવનકાળ કે કેટલાંક જીવનકાળના તફાવત આધારિત સાધનોનો સમાવેશ થઈ શકે છે. ક્યુએએલવાય (QALY) ઉપયોગી વિશ્લેષણ છે, પરંતુ તે પદ્ધતિમાં સમાનતાની બાબતોનો સમાવેશ થતો નથી

શિશુ અને બાળમૃત્યુદર

આયુની સંભાવના અને ડીએએલવાય/ક્યુએએલવાય (DALYs/QALYs) બીમારીના સરેરાશ બોજને પણ રજૂ કરે છે. જોકે, શિશુ અને પાંચ વર્ષથી નાના બાળકો માટેનો મૃત્યુદર વસ્તીના સૌથી ગરીબ વર્ગોના આરોગ્યની સ્થિતિનો વધુ ચોક્કસ ઉલ્લેખ કરે છે. તેથી, આ માપમાં ફેરફાર ખાસ કરીને આરોગ્ય સમાનતા પર ધ્યાન કેન્દ્રીત કરતી વખતે ઉપયોગી છે. આ માપ બાળકોના અધિકારના હિમાયતીઓ માટે પણ મહત્વપૂર્ણ છે. 2001માં આશરે 56 મિલિયન લોકોના મોત થયા હતા. આમાંથી, 10.6 મિલિયન લોકો 5 વર્ષથી નીચી વયના બાળકો હતા, આમાંથી 99% બાળકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના હતા. તેનો અર્થ એવો થાય છે કે દર વર્ષે આશરે 30,000 બાળકોના મોત થાય છે

માંદગી

માંદગીઓમાં ઘટનાનો દર, પ્રચલિત અને સંચયી ઘટનાઓનો સમાવેશ થાય છે. ઘટનાઓનો દરએ નિયત સમયની અંદર કેટલીક નવી સ્થિતિ ઉભી થવાનું જોખમ છે. કેટલીક વખત અમુક સમયગાળામાં નવા કેસના આંકડાના લીધે તેનું પ્રમાણ ઓછું લાગે છે, પણ આ બાબત તુલનાત્મક રીતે અથવા ભાજક (અપૂર્ણાંકમાં છેદ) સાથેના દરમાં સારી રીતે પ્રતિબિંબિત થાય છે.

સર્જિકલ બીમારીનો બોજો

એચઆઇવી (HIV) જેવી ચેપી બીમારી નીચી આવક ધરાવતા દેશોમાં આરોગ્યના મોરચે બહુ મોટી અસર કરે છે, રસ્તામાં થયેલા અકસ્માત અથવા બીજી ઇજાઓના લીધે થયેલી ઈજા, ભારે ચેપ, નરમ કોષોમાં ચેપ, જન્મજાત ખોડ અને બાળકના જન્મ વખતે થતી શારીરિક તકલીફ સહિતની સર્જિકલ સ્થિતિઓ પણ બીમારીના બોજા માટે મહત્વનું કારણ બને છે અને તેના લીધે આર્થિક વિકાસ રૂંધાય છે. અત્યારે એવો અંદાજ મૂકાયો છે કે વિશ્વ સ્તરે પ્રવર્તતા બીમારીના બોજામાં 11% ફાળો સર્જિકલ બીમારીઓનો, 38% ઇજાઓનો, 19% ભારે ચેપનો, 9% જન્મજાત ખોડો, 6% પ્રસૂતિ દરમિયાનની તકલીફોનો, 5% મોતિયાનો અને 4% પ્રસવસમયની સ્થિતિઓનો છે. મોટાભાગના સર્જિકલ ડીએએલવાય (DALY) દક્ષિણ-પૂર્વ એશિયા (48 મિલિયન)માં હોવાનો અંદાજ છે, છતા વિશ્વમાં તો આફ્રિકામાં માથાદીઠ ડીએએલવાય (DALY) દર સૌથી વધારે છે.[૧૮] ઉપર ચર્ચા કરવામાં આવી છે તે મુજબ વૈશ્વિક સર્જિકલ બીમારીના બોજામાં સૌથી મોટો ફાળો રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ(આરટીએ (RTAs))થી થતી ઈજાઓનો છે, વાસ્તવમાં તેનો સૌથી વધારે ફાળો છે. ડબ્લ્યુએચઓ (WHO)નાં જણાવ્યા મુજબ દરરોજ 3,500થી વધારે મૃત્યુ આરટીએ (RTA)ના લીધે થાય છે, જ્યારે લાખો લોકો ઇજા પામે છે અથવા તે પછીનું જીવન શારીરિક રીતે અસમર્થ વ્યક્તિ તરીકે પસાર કરે છે. સમગ્ર વિશ્વમાં 2004માં મૃત્યુ અને ડીએએલવાય (DALYs) હાનિના મહત્વના કારણોમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સનું સ્થાન નવમું હતું અને તે 2030માં ટોચના પાંચમાં સ્થાન આવી જશે. આમ આ કારણે 2030માં બધી ચેપી બીમારી કરતા ઇજાઓ ઉપરના સ્થાને આવશે.

શ્વાસોચ્છવાસને લગતી બીમારી અને ઓરી

નવજાત શિશુ અને બાળમૃત્યુ દરનું સૌથી મોટું કારણ શ્વાસોચ્છવાસ્ને લગતી તકલીફો અને મિડલ ઇયર છે.  વયસ્કોમાં ક્ષય રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને મહત્વપૂર્ણ માંદગી અને મૃત્યુનું કારણ બને છે. એચઆઇવી (HIV)નો વ્યાપ વધતાં ક્ષય રોગમાં મૃત્યુ દર વધ્યો છે. વસ્તીની ગીચતા વધવાની સાથે શ્વાસોચ્છવાસને લગતાં રોગનો ફેલાવો વધ્યો છે. હાલમાં રસીકરણના કાર્યક્રમના લીધે દર વર્ષે ભારે કફના લીધે થતાં 600 000 મૃત્યુને રોકી શકાયા છે. ઓરી પાછળનું મુખ્ય કારણ મોર્બિલિવાઇરસ છે અને તે હવા દ્વારા ફેલાય છે. આ અત્યંત ચેપી રોગ છે અને તેના લક્ષણો ફ્લુ જેવા હોય છે, જેમાં તાવ, કફ અને શ્વાસોચ્છવાસની તકલીફ થાય છે અને થોડા દિવસ જતા શરીર પર ફોલ્લીઓ નીકળે છે. તેને રસીકરણ દ્વારા અસરકારક રીતે રોકી શકાય છે. આટલું હોવા છતાં પણ 2007માં લગભગ 200,000 લોકો અને મુખ્યત્વે 5 વર્ષની ઓછી વયના બાળકો તેના લીધે મૃત્યુ પામ્યા હતા.  દર વર્ષે મૃત્યુ પામતા બાળકોમાં અંદાજે 50 % બાળકોનું મૃત્યુ ન્યુમોનિયામાં થતા ન્યુમોકોસી અને હેમોફિલસ ઈન્ફ્લૂએન્ઝા અને બેક્ટેરિયલ મેનિજિટીસ તથા કોઢના લીધે થાય છે. ન્યુમોકોસી અને હેમોફિલસ ઈન્ફ્લૂએન્ઝાની નવી રસી ઓછી આવક ધરાવતા દેશોમાં દેખીતી રીતે સસ્તી છે. આ બે રસીના સર્વગ્રાહી ઉપયોગ દ્વારા દર વર્ષે ઓછામાં ઓછા 1000000 બાળકોનું મૃત્યુ નિવારી શકાયું હોવાનો અંદાજ છે. લાંબા ગાળાની મહત્તમ અસરના ભાગરૂપે બાળકના રસીકરણને પ્રાથમિક આરોગ્ય સારસંભાળનાં પગલાં સાથે સાંકળવું જોઈએ

અતિસારની બીમારી

સમગ્ર વિશ્વમાં પાંચ વર્ષથી ઓછીની વયે મૃત્યુ પામતા બાળકોમાં અતિસારના ચેપથી મૃત્યુ પામતા બાળકોની ટકાવારી 17 ટકા છે, આમ વિશ્વમાં બાળમૃત્યુ માટેનું તે બીજું સૌથી મોટું કારણ છે.  શૌચાલયની નબળી સગવડના લીધે પાણી, આહાર, વાસણો, હાથ અને માખીઓ દ્વારા તેનો ફેલાવો થઈ શકે છે. રોટાવાઇરસ અત્યંત ચેપી છે અને બાળકોમાં ગંભીર પ્રકારના અતિસાર તથા મૃત્યુ (અંદાજે 20%) માટે તે મહત્વનું કારણ છે. ડબ્લ્યુએચઓ (WHO)ના જણાવ્યા મુજબ રોટાવાઇરસ અતિસારને રોકવા માટે માત્ર આરોગ્યલક્ષી પગલાં જ પૂરતા નથી.  રોટાવાઇરસની રસી અત્યંત સંરક્ષક, સલામત અને સંભવતઃ એકદમ સસ્તી છે.અતિસારના લીધે થતાં ડીહાઇડ્રોશનની અસરકારક સારવાર મૌખિક રીહાઈડ્રેશન સારવાર પદ્ધતિ (ઓએરટી (ORT)) દ્વારા અસરકારક રીતે કરી શકાય છે અને આ રીતે મૃત્યુના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. પાણી, ખાંડ અને મીઠાનું કે ખાવાના સોડાનું મિશ્રણ કરીને  અસરગ્રસ્ત બાળકને પીવડાવીને ડીહાઈડ્રેશનની સારી રીતે સારવાર કરી શકાય છે. સ્તનપાન અને જસત પૂરું પાડવાને પ્રોત્સાહન આપવું એ મહત્વના પોષક પગલાં છે.

એચઆઇવી/એઇડ્ઝ (HIV/AIDS)

હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસ(એચઆઇવી (HIV)) રેટ્રોવાઇરસ છે જે સૌપ્રથમ 1980ના દાયકાના પ્રારંભમાં માનવીમાં જોવા મળ્યો હતો. એચાઇવી ((HIV))માં ઉત્તરોતર વધારો થતાં પછી ચેપગ્રસ્ત વ્યક્તિને એઇડ્ઝ કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ થાય છે. એચઆઇવી (HIV) આગળ જતા એઇડ્ઝ (AIDS) બને છે, કારણ કે તેનો વાઇરસ માનવીની રોગ પ્રતિકારક શક્તિ માટે આવશ્યક એવા સીડી4+ટી (CD4+ T) કોષોને ખતમ કરે છે. એન્ટિરેટ્રોવાઇરલ દવાઓના લીધે લાંબો સમય જીવી શકાય છે અને શરીરમાં એચઆઇવી (HIV)ના ચેપને ઘટાડીને એઇડ્ઝ (AIDS)ને પાછો ઠેલી શકાય છે.

એચઆઇવી (HIV) શારીરિક પ્રવાહી દ્વારા એકબીજામાં સંક્રમિત થાય છે. અસલામત જાતીય સંબંધ, રક્તવાહિનીઓમાં લેવાતી દવા, લોહી ચડાવવું અને અસ્વચ્છ સોયના લીધે લોહી અને અન્ય પ્રવાહીઓ દ્વારા એચઆઇવી (HIV) ફેલાય છે. એક સમયે એમ માનવામાં આવતું હતું કે આ બીમારી ફક્ત નશીલા પદાર્થો લેનારાઓ અને હોમોસેક્સ્યુઅલ્સને થાય છે, પરંતુ તે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો એચઆઇવી (HIV) ફેલાવવાનું મુખ્ય કારણ વિષમલિંગી સમાગમ છે. તે ગર્ભવતી મહિલાથી તેના ન જન્મેલા બાળકને પણ પ્રસૂતિ દરમિયાન થઈ શકે છે અથવા પ્રસૂતિ પછી તેને ધાવણ દ્વારા પણ થઈ શકે છે. આ વૈશ્વિક બીમારી હોવાથી તે ગમે તેને અસર કરી શકે છે, વિશ્વના કેટલાક ચોક્કસ પ્રદેશોમાં તેના અસરગ્રસ્તોનો દર વધારે છે.

મેલેરિયા

મેલેરિયા એક ચેપી બીમારી છે, જે પ્રોટોઝોન પ્લાસ્મોડિયમ પેરાસાઇટ્સથી ફેલાય છે. આ બીમારીનો ચેપ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ બીમારીના પ્રાથમિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઠંડી અને ઉબકા આવવાનો સમાવેશ થાય છે. પ્રત્યેક વર્ષે સમગ્ર વિશ્વમાં મેલેરિયાના અંદાજે 500 મિલિયન કેસ નોંધાય છે, જેમાં મોટાભાગે સામાન્ય રીતે અવિકસિત દેશોમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓનું પ્રમાણ સૌથી વધુ છે.  મેલેરિયા દેશના આર્થિક વિકાસને અવરોધી શકે છે. મેલેરિયાની આર્થિક અસરોમાં કામની ઉત્પાદક્તામાં ઘટાડો, સારવાર ખર્ચ અને સારવાર માટે ફાળવામાં આવેલ સમયનો સમાવેશ થાય છે. જંતુનાશક મચ્છરદાની, ત્વરિત આર્ટેમિસિનિન આધારિત સંયુક્ત સારવાર અને ગર્ભાવસ્થામાં થોડા થોડા સમયે પ્રતિબંધક સારવાર લઇને મેલેરિયાથી થતા મૃત્યુમાં ઝડપથી અને ખર્ચ-અસરકારક ઘટાડો થઇ શકે છે. જોકે, આફ્રિકામાં માત્ર 23% બાળકો અને 27% ગર્ભવતી મહિલાઓ જંતુનાશક મચ્છરદાની હેઠળ ઉંઘે છે

પોષણ અને સુક્ષ્મપોષણની અછત

સમગ્ર વિશ્વમાં બે બિલિયનથી વધુ લોકો પર સુક્ષ્મપોષણની અછતનું જોખમ છે. (વિટામીન એ, લોહ, આયોડીન અને જસત સહિત). વિકાસશીલ વિશ્વમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના ચેપી બીમારીથી થતા મૃત્યુમાં 53% મૃત્યુ કુપોષણના કારણે થાય છે.  કુપોષણ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, તેથી બાળપણની બીમારીઓ (ઓરી, ન્યુમોનિયા અને અતિસાર સહિત) વારંવાર બીમારી થાય છે, તેની ગંભીરતા વધે છે અને તેનો સમયગાળો પણ વધે છે. સુક્ષ્મ પોષકોની ઉણપથી બાળકની બૌદ્ધિક ક્ષમતા, વિકાસ અને પરિપક્વ ઉત્પાદક્તા પણ ઘટે છે.

જોકે, ચેપ પણ એક મહત્વનું કારણ છે અને કુપોષણમાં મહત્તવનું યોગદાન આપે છે. ઉદાહરણરૂપે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલના ચેપને કારણે અતિસાર થાય છે અને એચઆઇવી (HIV), ક્ષય રોગ, આંતરડાનો ચેપ અને લાંબી બીમારી બગાડ અને રક્તહિનતાનું પ્રમાણ વધારે છે.

પાંચ વર્ષથી ઓછી વયના પચાસ મિલિયન બાળકો વિટામિન એની ઊણપથી પીડાય છે. આ પ્રકારની ઊણપ રતાંધણાપણા સાથે સંકળાયેલ છે. વિટામિન એની ગંભીર ઊણપ ઝેરોફેટલમિઆ સાથે સંકળાયેલ છે અને તેનાથી આંખ પરના પારદર્શક પડદા પર ચાંદી પડી શકે છે, જેને પગલે વ્યક્તિ સંપૂર્ણપણે અંધ થઇ શકે છે. વિટામિન એ રોગપ્રતિકારક શક્તિના સંચાલન સાથે સંકળાયેલ છે અને તે ઉપકલા કોષની સપાટીને જાળવી રાખે છે. આ કારણથી વિટામિન એની ઊણપ ચેપ અને બીમારી સંભાવનાઓ વધારે છે. હકીકતમાં, વિટામિન એની ઊણપનું નોંધપાત્ર સ્તર ધરાવતા વિસ્તારોમાં વિટામિન એની પુરવણીથી બાળમૃત્યુ દરમાં 23%નો ઘટાડો જોવા મળ્યો છે.

અંદાજે વિશ્વના એક તૃતિયાંશ મહિલા અને બાળકો લોહની ઊણપનો ભોગ બનેલા છે. લોહની ઊણપ અન્ય પોષણયુક્ત ખામીઓ અને ચેપની સાથે રક્તહિનતાનું જોખમ વધારે છે અને તે વૈશ્વિકસ્તરે બાળકના જન્મ સમયે માતાના મૃત્યુ, બાળકના જન્મ પહેલાં મૃત્યુ અને માનસિક વિકલાંગતા સાથે સંકળાયેલ છે. રકતહિનતાવાળા બાળકમાં અન્ય સુક્ષ્મ પોષકો સાથે લોહ તત્વની પુરવણીથી આરોગ્ય અને હિમોગ્લોબિન સ્તરમાં સુધારો થઇ શકે છે.  બાળકોમાં લોહ તત્વની ઊણપની અસર તેની શીખવાની ક્ષમતા અને લાગણીઓ તેમજ ચિંતન ક્ષમતા પર થાય છે.

આયોડીનની ઊણપ પ્રતિકારક માનસિક વિકલાંગતાનું કારણ બની શકે છે. અંદાજે વાર્ષિક 50 મિલિયન નવજાત શીશુઓ પર આયોડીનની ઊણપનું જોખમ હોય છે. આયોડીનની ઊણપ ધરાવતી ગર્ભવતી મહિલાઓનો આ વર્ગમાં સમાવેશ કરવો જોઇએ, કારણ કે આયોડીનની ઊણપ ધરાવતી મહિલાઓમાં કસુવાવડનું પ્રમાણ વધી જાય છે અને તેમનામાં નવજાત બાળકના વિકાસની ક્ષમતાનું સ્તર નીચું હોય છે.  વૈશ્વિકસ્તરે મીઠાને આયોડીનયુક્ત કરવાના પ્રયાસોથી આ સમસ્યા દૂર કરવામાં મદદ મળી રહી છે.

લાસેરિનિ અને ફિશર અને અન્યોએ જણાવ્યા મુજબ જસતની ઊણપ અતિસાર, ન્યુમોનિયા અને મેલેરિયાથી થતા મૃત્યુનું જોખમ વધારી શકે છે.  સમગ્ર વિશ્વમાં લગભગ 30% બાળકો જસતની ઊણપ ધરાવતા હોવાનું જણાયું છે. તેની પુરવણીથી અતિસારની સમય મર્યાદા ઘટી હોવાનું જણાયું છે.

કુપોષણ અટકાવવા સુક્ષ્મ પોષકોની પુરવણી, મૂળભૂત આહારને પોષક બનાવવા, વૈવિધ્યપૂર્ણ આહાર, ચેપનો પ્રસાર અટકાવવા સ્વાસ્થ્ય સંબંધી પગલાં અને સ્તનપાનને પ્રોત્સાહન આપવા જેવાં પગલાં ભરવા જોઇએ. વૈવિધ્યપૂર્ણ આહારનો આશય નિયમિત આહારમાં મહત્વના સુક્ષ્મ પોષકોના વપરાશને વધારવાનો છે. વૈવિધ્યપૂર્ણ આહારને પ્રોત્સાહન અને શિક્ષણ દ્વારા તથા સુક્ષ્મ પોષકોની પહોંચ અને સ્થાનિક સ્તરે ઉત્પાદિત આહાર પૂરો પાડીને આમ કરી શકાય છે.

લાંબી બીમારી

બીન ચેપી લાંબી બીમારીઓનું તુલનાત્મક મહત્વ વધી રહ્યું છે. ઉદાહરણરૂપે, ભૂખમરાના સ્તર માટે જાણીતા પરંપરાગત દેશોમાં મેદસ્વીતા સાથે સંકળાયેલ ટાઇપ 2 ડાયાબિટિસનું પ્રમાણ વધ્યું છે. વર્ષ 2030 સુધીમાં ઓછી આવક ધરાવતા દેશોમાં ડાયાબિટિસથી પીડિત લોકોની સંખ્યા 84 મિલિયનથી વધીને 228 મિલિયન પહોંચવાની શક્યતા છે.  મેદસ્વીપણું અટકાવી શકાય તેવી બીમારી છે અને તે હૃદય સંબંધિત બીમારીઓ, ડાયાબિટિસ, હુમલો, કેન્સર અને શ્વાસોચ્છ્વાસ સંબંધિત બીમારીઓ સહિતની લાંબી બીમારીઓ સાથે તે સંકળાયેલ છે. ડીએએલવાય (DALYs) તરીકે ગણાતી 16% વૈશ્વિક બીમારીઓનું કારણ મેદસ્વીપણું છે.

સ્વાસ્થ્ય સુધારણા કાર્યક્રમો

બાળકોના આરોગ્ય અને જીવન રક્ષણમાં સુધારા માટેના પુરવા આધારિત કાર્યક્રમોમા: સ્તનપાનને પ્રોત્સાહન, જસત પુરવણી, વિટામિન એનું પોષણ અને પુરવણી, મીઠાનું આયોડાઇઝેશન, હાથ ધોવા અને સ્વાસ્થ્ય કાર્યક્રમો, રસીકરણ, ગંભીર કુપોષણની સારવારનો સમાવેશ થાય છે. મેલેરિયાનું વધુ પ્રમાણ ધરાવતા વિસ્તારોમાં જંતુવિનાશક મચ્છરદાનીઓ અને થોડા થોડા સમયે દવાની સારવારથી મૃત્યુદર ઘટાડી શકાયો છે.  વૈશ્વિક આરોગ્ય સમિતિના અભ્યાસો સૂચવે છે કે 32 પ્રકારની સારવાર અને સુધારણા કાર્યક્રમો પ્રત્યેક વર્ષે લાખો લોકોના જીવન બચાવી શકે છે.

સૌથી અસરકારક સુધારણા કાર્યક્રમ સ્થાનિક સ્તરે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં, સમયસર અને વ્યાજબી તથા નિશ્ચિત વર્ગને મહત્તમ આવરી લઇ શકે તેવો હોવો જોઇએ. માત્ર આંશિક વિસ્તારને આવરી લેતા કાર્યક્રમ ઓછા ખર્ચાળ હોઇ શકે નહીં. જેમ કે, આંશિક વિસ્તારને આવરી લેતા ચેપી રોગ મુક્તિ કાર્યક્રમો વારંવાર બીમારીના મહત્તમ જોખમને ઘટાડવામાં નિષ્ફળ જાય છે. વધુમાં, વિતરણને ધ્યાનમાં ન લેવાય તો કાર્યક્રમના આવરી લેવાયેલા વિસ્તારના અંદાજો ગેરમાર્ગે દોરી શકે છે. તેથી, અપ્રમાણિક રાષ્ટ્રીય કવરેજ કદાચ યોગ્ય જણાઇ શકે, પરંતુ વિગતવાર નિરીક્ષણ કરવામાં આવે ત્યારે તે અપૂરતું હોઇ શકે છે. આ સ્થિતિને ‘કવરેજની ભ્રામક્તા’ તરીકે ઓળખવામાં આવે છે.

સ્વાસ્થ્ય સુધારણા કાર્યક્રમો, ખાસ કરીને બાળક અને માતાના આરોગ્ય સંબંધિત (મિલેનિયમ ડેવલપમેન્ટ લક્ષ્યાંકો 4 અને 5) કાર્યક્રમો હેઠળ આવરી લેવાતા વિસ્તારોમાં થતી પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવે છે, આ નિરીક્ષણ યુનિસેફના નેતૃત્વમાં કાઉન્ટડાઉન ટુ 2015 તરીકે ઓળખાતી કામગીરી હેઠળ ઓછી આવક ધરાવતા 68 દેશોમાં કરાય છે. આ દેશોમાં અંદાજે 97% ગર્ભવતી માતા અને બાળકોના મૃત્યુ થાય છે.

સ્ત્રોત: વૈશ્વિક આરોગ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate