ભારતના બંધારણની કલમ ૪૬ માં સૂચવાયું છે કે રાજ્યે અનુસૂચિત જનજાતિઓનાં શૈક્ષણિક અને આર્થિક હિતોને આગળ ધપાવવા માટે તેમજ તેઓને સામાજિક અન્યાય અને શોષણમાંથી બચાવવા માટે વિશેષ સંભાળ લેવી જોઈએ. અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને બહેતર જીવન માટે નીચેનાં પગલાંઓ લેવાઈ રહ્યાં છે :
શાહુકારો અને સમાજના અન્ય ભદ્ર વર્ગ દ્વારા થતા શોષણને કારણે ગરીબ અનુસૂચિત જનજાતિના જમીન ધારકોને તેમની જમીનનો કબજો અને માલિકી છોડવાં પડે છે. આથી, રાજ્ય સરકારે મુંબઈ જમીન મહેસૂલ કાયદાની કલમ ૭૩(અ) માં સુધારો કરી નવી ૭૩(અઅ) થી ૭૩(અડ) કલમ દાખલ કરી છે. આ નવી કલમથી જિલ્લા કલેક્ટરને આદિવાસી ખેડૂતે બિન આદિવાસીને તબદીલ કરેલી જમીન મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈ અનુસાર રદ કરી શકે છે. આ સુધારો ૧૯૮૧ ના ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે. આદિવાસી જે જમીન ધારણ કરતા હોય તે જમીનનું જિલ્લા કલેક્ટરની પરવાનગી વિના તબદીલ કરી શકાતી નથી.
ભારત સરકાર ૩૧ માર્ચ, ૧૯૯૦ થી સમાજની બિન અનુસૂચિત જાતિ કે બિન અનુસૂચિત જનજાતિના સભ્યોથી અનુસૂચિત જાતિઓ કે અનુસૂચિત જનજાતિઓના સભ્યોને અત્યાચારોથી બચાવવા માટે અત્યાચાર પ્રતિબંધ અધિનિયમ, ૧૯૮૯ નો અમલ કરી રહેલ છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર પ્રતિબંધ) નિયમો, ૧૯૯૫ આ કાયદા નીચે ઘડવામાં આવ્યા છે અને આ નિયમો અંતર્ગત અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિ/કુટુંબને નાણાકીય સહાય આપવા માટેના ધારાધોરણ બનાવવામાં આવ્યાં છે. ગુજરાત સરકારે પણ આ ધારાધોરણ અપનાવ્યાં છે. અને ગુજરાત રાજ્યમાં પણ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર પ્રતિબંધ) નિયમો, ૧૯૯૫ માં સૂચવવામાં આવેલાં ધોરણો અનુસાર નાણાકીય સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે.
ગૃહ વિભાગે અનુસૂચિત જાતિઓ માટે ૧૧ અને અનુસૂચિત જનજાતિઓ માટે ૪ જિલ્લાઓ અત્યાચારના દ્રષ્ટિબિંદુથી સંવેદનશીલ હોવાનું ઠરાવ્યું છે.
સચિવાલય કક્ષાએ અત્યાચાર પ્રતિબંધ અધિનિયમ અમલની દેખરેખ અગ્રસચિવ/સચિવ રાખે છે જ્યારે કમિશનરની કક્ષાએ આ કાર્ય કમિશનર બજાવે છે. આ ઉપરાંત કમિશનરની કચેરી કક્ષાએ નાયબ નિયામકના અધ્યક્ષસ્થાને એક "નાગરિક સેલ” રચવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ ૧૩ તકેદારી અધિકારીઓ અને ૨ સમાજકલ્યાણ અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં અત્યાચારની ઘટનાઓ સંબંધિત નજર રાખે છે.
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર પ્રતિબંધ) નિયમો, ૧૯૯૫ ના નિયમ નં.૯ અન્વયે સચિવ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ(આદિવાસી વિકાસ વિભાગ) નોડલ અધિકારી છે, જ્યારે નિયમ નં.૧૦ અને ૧૩ અન્વયે જિલ્લા કક્ષાના તકેદારી અધિકારીઓ ખાસ અધિકારીઓ તરીકે કાર્ય કરે છે.
સ્ત્રોત: આદિજાતિ વિકાસ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/7/2019